સુરતના તડકેશ્વરમાં ટેસ્ટિંગ સમયે જ તૂટી પડી લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી, 3 મજૂરો ઈજાગ્રસ્ત | A water tank built at a cost of lakhs in Surat collapsed during testing

![]()
Surat Water tank News : દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. સુરતના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પ્રથમ ટેસ્ટિંગમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં
પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામે 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ, ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી. જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
3 મજૂરો ઈજાગ્રસ્ત, ગામમાં ઘૂસ્યા પાણી
ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો તેની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ફફડાટ ફેલાયો હતો.
જનતાનો રોષ: “સરકારી નાણું પાણીમાં ગયું”
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીનદોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે.



