શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncert introduces 1975 emergency chapter in class 9 new social science textbook

![]()
NCERT New Textbook Class 9 Emergency Chapter: દેશના શાળાકીય અભ્યાસક્રમમાં એક બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 9 માટે સોશિયલ સાયન્સનું નવું પુસ્તક પ્રકાશિત કરાયું છે. આ પુસ્તકમાં દેશના ઇતિહાસના સૌથી મોટા અને સંવેદનશીલ રાજકીય ઘટનાક્રમ કટોકટીને સ્થાન અપાયું છે. ‘Understanding Society: India and Beyond-Part 1’ નામના આ નવા પુસ્તકમાં દેશમાં પહેલીવાર ધો. 9ના વિદ્યાર્થીઓને વર્ષ 1975માં લાદવામાં આવેલી કટોકટી વિશે વિગતવાર ભણાવવામાં આવશે.
અત્યાર સુધી દેશના આ સૌથી ચર્ચિત રાજકીય કાળખંડને મુખ્યત્વે ઉચ્ચતર માધ્યમિક વર્ગો અથવા હાયર એજ્યુકેશનના સ્તર પર જ ભણાવવામાં આવતો હતો. પરંતુ હવે શાળાના વિદ્યાર્થીઓને શરૂઆતના સ્તરેથી જ ભારતીય રાજનીતિના આ મહત્ત્વપૂર્ણ વળાંકની સમજ આપવામાં આવશે. આ ચેપ્ટરનો સમાવેશ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય લોકશાહીની તાકાત, તેના ઉતાર-ચઢાવ અને બંધારણીય અધિકારોના મહત્ત્વથી વાકેફ કરવાનો છે. પુસ્તકમાં અત્યંત નિષ્પક્ષ અને ઐતિહાસિક તથ્યો સાથે આ આખા ઘટનાક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.
કટોકટીની આખી ક્ર્રોનોલોજી અને બેકગ્રાઉન્ડ પણ સામેલ
નવા પુસ્તકમાં વર્ષ 1975ના કાળખંડને ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અને પડકારજનક દોર ગણાવવામાં આવ્યો છે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે કટોકટી શું હોય છે, તે કેમ લગાવવામાં આવે છે અને ભારતીય બંધારણ હેઠળ તેના કેટલા પ્રકારો છે. આ ઉપરાંત, કટોકટી લાગુ થવા પાછળનું આખું બેકગ્રાઉન્ડ પણ સ્પષ્ટ કરાયું છે. તે સમયે દેશમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ચાલી રહેલું ‘જેપી આંદોલન’, વધતી જતી મોંઘવારી, રાજકીય અસ્થિરતા અને વિરોધ પક્ષોના દેશવ્યાપી આંદોલનો કઈ રીતે ચરમસીમા પર હતા, તે તમામ પરિસ્થિતિઓનો આ પ્રકરણમાં સમાવેશ કરાયો છે.
અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો અને લોકશાહીની વાપસી
NCERTના આ પ્રકરણમાં એ કાયદાકીય વળાંકનો પણ પ્રમુખતાથી ઉલ્લેખ છે જેણે દેશના રાજકારણને હમમચાવી દીધું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના એ ઐતિહાસિક ચુકાદા વિશે જણાવાયું છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ચૂંટણીને બિનકાયદેસર જાહેર કરવામાં આવી હતી. આ ચુકાદા બાદ દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો અને 25 જૂન 1975ના રોજ તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીની સલાહ પર દેશમાં કટોકટી લાગુ કરાઈ હતી.
લોકશાહીની વાપસી
પ્રકરણના અંતિમ ભાગમાં લોકશાહીની વાપસીની વાત નોંધાયેલી છે. બાળકોને માહિતી આપવામાં આવી છે કે આશરે 21 મહિનાના લાંબા અને સખત પ્રતિબંધો બાદ આખરે જાન્યુઆરી 1977માં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ અને માર્ચ 1977માં સત્તાવાર રીતે કટોકટીનો અંત આવ્યો. આ ઘટના ભણીને વિદ્યાર્થીઓ સમજી શકશે કે ભારતીય જનતાએ કઈ રીતે વોટની ચોટથી દેશમાં ફરીથી લોકશાહી બહાલ કરી હતી.



