राष्ट्रीय

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Yadav Family Land Row Congress Attacks Over Ujjain Master Plan Land Deal




MP CM Mohan Yadav Family Land Row: ધાર્મિક નગરી ઉજ્જૈન હાલમાં ‘સિંહસ્થ કુંભ મેળા 2028’ની તૈયારીઓને કારણે દેશભરમાં ચર્ચામાં છે. પરંતુ આ વિકાસની સાથે એક મોટો રાજકીય વિવાદ પણ જોડાઈ ગયો છે. અગ્રણી અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તીવ્ર તપાસ અને વિપક્ષના પ્રહારોનો સામનો કરી રહ્યો છે. 

આરોપ છે કે જ્યાં સરકારી પ્રોજેક્ટ્સ આવવાના છે અને ‘ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035’ હેઠળ સૌથી વધુ લાભ થવાનો છે, તેવા વિસ્તારોમાં જ સીએમના પરિવારે મોટા પાયે જમીનો ખરીદી લીધી છે. આ મામલાએ રાજ્યના રાજકારણમાં ‘હિતોના સંઘર્ષ’નો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.

45 કરોડ રૂપિયાના 137 પ્લોટ ખરીદ્યા!

સરકારી રેકોર્ડ મુજબ, ડિસેમ્બર 2023માં મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને ડિસેમ્બર 2025 સુધીના 2 વર્ષના ટૂંકા ગાળામાં તેમના પરિવારે ઉજ્જૈન અને તેની આસપાસ 168 એકર જમીનમાં ફેલાયેલા ઓછામાં ઓછા 137 પ્લોટ ખરીદ્યા છે, જેની કિંમત આશરે 45 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખરીદી સીએમની પત્ની સીમા, પુત્રવધૂ શાલિની, ભાઈઓ નંદલાલ અને નારાયણ, નારાયણની પત્ની રેખા, તેમના પુત્ર અભય યાદવ, અને સીએમના પિતરાઈ ભાઈઓ ગોવિંદ અને નીલેશ યાદવ દ્વારા સીધી અથવા કૌટુંબિક રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. આમાંના 111 એકર પ્લોટ ગરોથ, ઇન્દોર અને ભોપાલ જેવા શહેરોને જોડતા નવા જાહેર થયેલા હાઇવે પ્રોજેક્ટ્સની નજીક આવેલા છે, જેના કારણે અહીં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે. જો અગાઉના વર્ષોનો પણ સમાવેશ કરીએ તો આ પરિવાર પાસે કુલ 335 એકર જમીનમાં ફેલાયેલા 245 પ્લોટ હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા પહેલા પણ મોહન યાદવ ઉજ્જૈનના વિકાસ કાર્યો સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેઓ 2004થી 2010 દરમિયાન ‘ઉજ્જૈન વિકાસ સત્તામંડળ’ના અધ્યક્ષ, 2011થી 2013 સુધી ‘એમપી ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ના વડા અને 2013થી ઉજ્જૈન (દક્ષિણ)ના ધારાસભ્ય તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. 

કોંગ્રેસે ‘ડબલ એન્જિન’ સરકારને ‘લૂંટનું એન્જિન’ ગણાવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહારો કરતા ભાજપની ‘ડબલ એન્જિન’ સરકારને ‘લૂંટનું એન્જિન’ ગણાવી છે અને મુખ્યમંત્રીને આ સમગ્ર મામલાના માસ્ટરમાઇન્ડ કહ્યા છે. કોંગ્રેસે સીએમને ‘મધ્યપ્રદેશના નવા જમીનદાર’નું બિરુદ આપીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 

આ પણ વાંચો: નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી

વિપક્ષનો આરોપ છે કે સીએમ પદ પર આવ્યા બાદ આ કૌટુંબિક જમીનનો ઉપયોગ હાઉસિંગ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે ઝડપી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 હેઠળ કૃષિ જમીનને રહેણાંક કે વાણિજ્યિક ક્ષેત્રમાં બદલવા માટે સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ લાવવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીના ભત્રીજાએ કર્યો બચાવ

મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના અધિકારીઓ અને સીએમના ભત્રીજા અનંત યાદવે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેમનો વિસ્તૃત પરિવાર 2010 થી કાયદેસર રીતે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સક્રિય છે. એક ખાનગી નાગરિક તરીકે તેમને જમીન ખરીદવા અને વેચવાનો સંપૂર્ણ અધિકાર છે અને આ વ્યવસાયને મુખ્યમંત્રીના સરકારી પદ સાથે જોડવો તદ્દન ખોટું છે. હાલમાં આ મુદ્દે મુખ્યમંત્રી અને ભાજપ સંગઠને મૌન જાળવ્યું છે, જે આગામી સમયમાં વધુ મોટા રાજકીય વિવાદના સંકેત આપે છે.



Source link

Related Articles

Back to top button