કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major reshuffle in congress organization

![]()
Major Reshuffle In Congress: કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોના અહેવાલો છે. અનેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને AICCમાં ફેરફારની અફવાઓ વધી રહી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીને મજબૂત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
ચાર મહાસચિવોને હટાવાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર મહાસચિવોને હટાવી શકાય છે. વધુમાં ત્રણથી ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોને પણ બદલી શકે છે. છથી સાત રાજ્યોમાં રાજ્ય પ્રભારીઓને હટાવવામાં આવશે. હાલના 62 ની સરખામણીમાં આશરે 26 રાષ્ટ્રીય સચિવોને હટાવવામાં આવશે.
સૂત્રો અનુસાર, હરિયાણાના પ્રભારી બીકે હરિપ્રસાદ, મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથેલા, છત્તીસગઢના પ્રભારી સચિન પાયલટ, તમિલનાડુના પ્રભારી ગિરીશ ચોડણકર અને રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને દૂર કરવામાં આવશે. હકીકતમાં બીકે હરિપ્રસાદ કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બની ગયા છે, તેથી પાર્ટી હરિયાણામાં તેમના સ્થાને નવા પ્રભારી અથવા મહાસચિવની નિમણૂક કરશે.
કેરળમાં કોંગ્રેસ સરકાર આવ્યા પછી રમેશ ચેન્નીથેલા મંત્રી બન્યા છે. મહારાષ્ટ્રમાં તેમના સ્થાને નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવશે. કેરળ રાજ્ય પ્રમુખ સની જોસેફ પણ મંત્રી બન્યા છે, જેના કારણે સંગઠનમાંથી તેમની વિદાય નિશ્ચિત છે. તમિલનાડુના પ્રભારી ગિરીશને તાજેતરમાં ગોવાના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે AICCમાંથી તેમને પણ હટાવાશે.
કયા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો બદલવાની શક્યતા?
સૂત્રો મુજબ, કોંગ્રેસ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પ્રદેશ પ્રમુખો બદલી શકે છે. 2027માં પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી પ્રદેશ પ્રમુખમાં ફેરફારની શક્યતા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પાર્ટીમાં જૂથવાદને રોકવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે નવા ચહેરાઓની નિમણૂક કરવામાં આવી શકે છે.



