ઉંડેરા તળાવ છલોછલ ભરાતા સ્થાનિકોમાં ફરી ચિંતા | Concerns again among locals as Undera Lake overflows

![]()
ચોમાસાની ઋતુ નજીક આવતાં ઉડેરા તળાવ ઓવરફ્લો થવાની ભીતિથી લોકોમાં ફરી ચિંતા જોવા મળી છે.
વગર વરસાદે તળાવ છલોછલ ભરાયેલું હોવાથી સ્થાનિક રહીશોમાં ઓવરફૂલોની ચિંતા વ્યાપી છે. ગત વર્ષે ભારે વરસાદ દરમિયાન તળાવ ઓવરફ્લો થતાં ઉડેરા ગામ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી લોકોને નુકસાન પહોંચ્યું હતું તેમજ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે ગત્ વર્ષે સર્જાયેલી સ્થિતિ બાદ મ્યુનિ. કમિશ્નરે તળાવ ઓવરફલો ન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની બાહેધરી આપી હતી. જોકે એક વર્ષ પૂર્ણ પૂર્ણ થવા છતાં કોઈ અસરકારક કામગીરી થઈ નથી. હાલમાં તળાવમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી માત્ર બે કલાકનો વરસાદ પણ ફરી લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
રહીશોના જણાવ્યા મુજબ વરસાદી કાંસ બનાવવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે. ઉડેરા ગામને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયાને સાત વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મૂળભૂત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે તળાવનું પાણી નિયંત્રિત રીતે ખાલી કરવા અને વરસાદી કાંસની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે તળાવ ઓવરફૂલો થવાના કારણે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે તો તેને કુદરતી નહીં પરંતુ માનવસર્જિત પૂર ગણવું પડશે. આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની જવાબદારી મ્યુનિ. કોર્પોરેશનની રહેશે.



