અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન પહોંચી ગયું પણ ઈરાની નેતા ન આવ્યા, વાતચીત માટે ઇનકાર કરતા ટ્રમ્પ ચિંતામાં! | US Iran Peace Talks Stall: US Delegation in Pakistan as Iran Rejects Second Round of Negotiations

![]()
US-Iran Peace Talks 2.0 in Pakistan : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર લેન્ડ થયું છે, પરંતુ ઈરાને આ બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બીજી તરફ, ઈરાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની ફોન પર વાતચીત થઈ છે. જે દરમિયાન યુદ્ધવિરામ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
મુનીરે ટ્રમ્પને ફોન કર્યો, કહ્યું હોર્મુઝ વિવાદના કારણે મંત્રણા અટકી
સંકટના ઉકેલ માટે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જનરલ મુનીરે ટ્રમ્પને વાત પહોંચાડી છે કે, હોર્મુઝની ખાડીમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકાબંધી ઈરાન સાથેની શાંતિ મંત્રણામાં સૌથી મોટું વિઘ્ન બની રહી છે. ટ્રમ્પે આ બાબતે વિચારણા કરવાની ખાતરી આપી છે, જોકે ઈરાન તેની શરતો પર મક્કમ છે. ઈરાને પાકિસ્તાનને 10 મુદ્દાનો એક પ્રસ્તાવ સોંપ્યો છે, પરંતુ અમેરિકા પરના વિશ્વાસના અભાવે બીજા રાઉન્ડની મંત્રણા રદ કરી છે.
અમેરિકાએ વિશ્વાસઘાત કર્યો : ઈરાનનો દાવો
ઈરાનનો દાવો છે કે, અમેરિકાએ લેબેનોનમાં યુદ્ધવિરામના વાયદાનો ભંગ કર્યો છે અને હોર્મુઝમાં નાકાબંધી કરીને ગંભીર વિશ્વાસઘાત કર્યો છે. હાલમાં જ અમેરિકાએ ઈરાની ધ્વજ ધરાવતા એક કાર્ગો જહાજને કબજામાં લીધું હતું, જેના જવાબમાં ઈરાને વળતો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઈરાની અધિકારી ઈબ્રાહિમ ઝોલફાઘારીએ સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાની અવાસ્તવિક માંગણીઓને કારણે હવે કોઈપણ પ્રકારનો શાંતિ સમજૂતી અસ્તિત્વમાં નથી.
22 એપ્રિલે પૂર્ણ થશે યુદ્ધવિરામ
અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલના રોજ થયેલું બે સપ્તાહનું યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલા મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં ભારે ઉથલપાથલ થવાની ભીતિ છે. તેહરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવશે નહીં ત્યાં સુધી આ માર્ગ પર ટ્રાન્ઝિટ સામાન્ય થશે નહીં.



