गुजरात

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s bail rejected in vehicle purchase fraud and bogus PSI case



Vadodara Court : વડોદરાની સાતમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલે બોગસ પીએસઆઈ બની છેતરપિંડી તેમજ દિવ્યાંગોના નામે લોન મેળવી રકમનો દુરુપયોગ કરવાના મામલે મોબિન ઈકબાલ સોદાગરની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, અરજદાર-આરોપી મોબિન ઈકબાલ સોદાગર (રહે. અલકબીર બંગ્લોઝ, વાસણા-તાંદલજા રોડ) દ્વારા નિયમિત જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે.

જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર આર.એમ. ગ્યાનચંદાનીએ પોલીસના સોગંદનામાના આધારે દલીલો રજૂ કરી હતી. દલીલોમાં જણાવાયું હતું કે હાલનો આરોપી સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તપાસ દરમિયાન તેના નિવાસસ્થાનેથી પીએસઆઈનો યુનિફોર્મ, આઈકાર્ડ, નેમપ્લેટ, એરગન તથા વિવિધ વ્યક્તિઓના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા.

સરકાર પક્ષના જણાવ્યા મુજબ, આરોપીએ અન્ય સહઆરોપીઓ સાથે મળીને સોદાગર ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે દિવ્યાંગ લોકોના નામે લોન મેળવી તેને પોતાના નામે ટ્રાન્સફર કરાવી હતી. ઉપરાંત દિવ્યાંગોના ડિસેબિલિટી કાર્ડમાં પોતાના ફોટા લગાવી વિવિધ લાભો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ટ્રસ્ટની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવતો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપીએ બોગસ પીએસઆઈ તરીકે ઓળખ આપી ગામડાની અણસમજ અને નિર્દોષ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો પણ છે. સરકાર પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

તપાસ અધિકારીના સોગંદનામા અને ચાર્જશીટની વિગતો ધ્યાને લેતા કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી ગામડાના લોકોને વિશ્વાસમાં લઈને તેમના દસ્તાવેજો મેળવ્યા હતા અને તેના આધારે બેંકોમાંથી લોન મેળવી તે રકમનો અંગત ઉપયોગ કર્યો હોવાના નિવેદનો કેસના રેકોર્ડ પર ઉપલબ્ધ છે. ચાર્જશીટમાં પણ આરોપીની ભૂમિકા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ચાર્જશીટ રજૂ થઈ જવાથી અથવા સહઆરોપીઓને જામીન મળ્યા હોવાના આધારે આરોપી સમાનતાનો (Parity) લાભ મેળવી શકે તેવી પરિસ્થિતિ દેખાતી નથી. આરોપીની ભૂમિકા અન્ય સહઆરોપીઓ કરતાં અલગ અને વધુ ગંભીર જણાતી હોવાથી નિયમિત જામીન મંજૂર કરવા યોગ્ય કેસ બનતો નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે મોબિન ઈકબાલ સોદાગરની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી.



Source link

Related Articles

Back to top button