આજવાની જળસપાટી 205.75 ફૂટે પહોંચતા સારા વરસાદ માટે સત્ય નારાયણની કથા યોજાઈ | Satya Narayan katha was held for good rains as water level of Ajwa reached 205 75 feet

![]()
Vadodara Ajwa Lake : વડોદરા શહેરના લાખો નાગરિકોની તરસ છીપાવતું અને ખાસ કરીને પૂર્વ વિસ્તાર માટે જીવનદાયી સમાન ગણાતું સયાજી સરોવર-આજવા ખાતે આજે પરંપરાગત રીતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સારો વરસાદ વરસે તેમજ આજવા સરોવરનું જળભંડાર સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના સાથે આ કથાનું આયોજન કરાયું હતું.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય આધાર આજવા સરોવર છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. બીજી તરફ આજવા સરોવરની જળસપાટી પણ ઘટીને 205.75 ફૂટ નોંધાઈ છે, જેના કારણે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ સંજોગોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજવા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણાના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના હોદ્દેદારો, કોર્પોરેશનના અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કથા અને પૂજન વિધિ દરમિયાન સારો વરસાદ વરસે, આજવા સરોવર છલોછલ ભરાય અને શહેરને વર્ષભર પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ આજવા સરોવરનો આશીર્વાદ વડોદરા શહેર પર સતત બની રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.



