અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal first reaction on akal takht verdict against bhagwant mann

![]()
Image Source: Twitter
Arvind Kejriwal on Bhagwant Mann: શ્રી અકાલ તખ્ત સાહિબે આકરો નિર્ણય લેતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ‘પંથ વિરોધી’ અને ‘ગુરુ દોષી’ જાહેર કર્યા છે, જે બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભગવંત માનનો એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, AAPના વિરોધીઓએ જૂઠું બોલીને સીએમ માનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
भगवंत मान के अच्छे कामों से बौखला कर विरोधी उनको झूठ बोलकर बदनाम करने की कोशिश कर रहे हैं। ये वीडियो जरूर देखें। https://t.co/XRtIiXZaKV
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 16, 2026
અરવિંદ કેજરીવાલે જે વીડિયો શેર કર્યો છે, તેમાં ભગવંત માન કહી રહ્યા છે કે, ‘કેટલાક સમય પહેલાં એક વીડિયોના કારણે શ્રી અકાલ તખ્તે મારા વિરુદ્ધ કેટલાક હુકમ જાહેર કર્યા હતા. તે વીડિયો અસલી નથી પરંતુ AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. આ મામલે શ્રી અકાલ તખ્ત સમક્ષ હાજર થઈને મેં મારો પક્ષ રાખ્યો હતો કે આ વીડિયોમાં હું છું જ નહીં. તે વીડિયોમાં દેખાતી વ્યક્તિનું કદ-કાઠું પણ મારા જેવું નથી, પરંતુ હું હેરાન છું કે ધર્મના મોટા-મોટા પદો પર બેઠેલા લોકો પોતાના રાજકીય ઈરાદાઓ પૂરા કરવા માટે ખોટો પ્રોપેગાન્ડા ફેલાવી રહ્યા છે અને મને બદનામ કરી રહ્યા છે.’
અકાલ તખ્તે શીખ સમુદાયને ભગવંત માન સાથે સબંધ તોડવાનો આપ્યો નિર્દેશ
શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તે એક કથિત વાંધાજનક વીડિયોમાં જૂઠું બોલવાના મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સોમવારે (15 જૂન) ‘ગુરુ દોષી’ અને ‘ખાલસા પંથ વિરોધી જાહેર કર્યા છે અને શીખ સમુદાયને માન સાથે પોતાના સંબંધો તોડી નાખવાનો નિર્દેશ આપ્યો છે. અકાલ તખ્તે ધાર્મિક બેઅદબી વિરોધી કાયદાના સંદર્ભમાં 29 જૂનના રોજ રાજ્યના તમામ શીખ ધારાસભ્યો (ભલે તે ગમે તે પક્ષના હોય) અને પંજાબ કેબિનેટને તેડું મોકલ્યું છે.
અમૃતસરમાં ‘પાંચ સિંહ સાહિબાન’ (શીખ ધર્મગુરુઓ)ની બેઠક બાદ અકાલ તખ્તના જથ્થાદાર જ્ઞાની કુલદીપ સિંહ ગડગજે અકાલ તખ્તની ‘ફસીલ’ (મંચ) પરથી આ આદેશ સંભળાવ્યો હતો. આ આદેશ કેટલાક શીખ સંગઠનો સાથે યોજાયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ધાર્મિક બેઅદબી વિરોધી કાયદા ‘જગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર (સુધારો) અધિનિયમ, 2026’ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.



