गुजरात

ગુજરાત સરકારના બે સિનિયર મંત્રીઓના અચાનક ખાતા છીનવાયા, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઇ લેવામાં આવ્યો છે. આ બન્ને સભ્યોના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા છે.સરકારે કરેલા ફેરફાર પ્રમાણે મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળાં પરફોર્મન્સના કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને આ બન્ને વિભાગનો કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ તેમની હસ્તક રાખ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 341 દિવસ થયાં છે ત્યારે કેબિનેટના વિભાગોમાં આ ફેરફાર થયાં છે. તેઓ 13મી સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી બન્યા હતા. મહેસૂલ વિભાગ છીનવાયો છે તેવા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે હાલ મહેસૂલ ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય તેમજ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો હવાલો છે.એવી જ રીતે પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન ઉપરાંત ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિયેશન, ટુરિઝમ અને યાત્રાધામ વિકાસનો હવાલો છે. જેમને વિભાગો ફાળવાયા છે તેવા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ-મકાનનો રાજ્યકક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે.

Related Articles

Back to top button