વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for EWS 1 housing in warasiya Sanjaynagar extended till July 15

![]()
Vadodara : વડોદરા શહેરના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને આવાસનો લાભ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વારસિયા-સંજયનગર ખાતે તૈયાર થનારા EWS-1 પ્રકારના આવાસોની ફાળવણી માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ યોજનાઓ પૈકી વારસિયા-સંજયનગર વિસ્તારમાં નિર્માણાધીન EWS-1 પ્રકારના આવાસો માટે નાગરિકોનો વધુ પ્રતિસાદ મળે અને વધુ લાભાર્થીઓને અરજી કરવાની તક મળી રહે તે હેતુથી અરજીની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રૂ.3 લાખ કિંમતના આ આવાસો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ 30 દિવસ વધારીને હવે તા.15 જુલાઈ સુધી કરવામાં આવી છે.
અરજદારો જરૂરી દસ્તાવેજો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરી શકશે. કોર્પોરેશને પાત્ર નાગરિકોને આ વધારેલી મુદતનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે.



