અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad News Water samples of three societies in Gota found to be unfit

![]()
Ahmedabad News: અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા બાદ રહી રહીને જાગેલી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એક્શન મોડમાં આવી છે. સામે આવેલા સત્તાવાર સેમ્પલ રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં લેવાયેલા કેટલાક સેમ્પલ અનફિટ જાહેર થયા બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી બેદરકારી રોકવા માટે નવી SOP પણ જાહેર કરવામાં આવી છે.
ગોતામાં પાણીના સેમ્પલ ફેઇલ, ત્રણ સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની પુષ્ટિ
ગોતા વિસ્તારમાંથી ઉઠેલી પાણીના પ્રદૂષણની ફરિયાદો બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત 3 જૂનના રોજ વિવિધ 14 જગ્યાએથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ત્રણ સેમ્પલ પરીક્ષણમાં નાપાસ (અનફિટ) જાહેર થયા છે. ગોતાની આકાંક્ષા સોસાયટી, વર્ધમાન સોસાયટી અને નવરત્ન સોસાયટીના વોટર ટેન્કના પાણીના રિપોર્ટ અનફિટ આવ્યા છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પ્રદૂષિત અને જોખમી પાણી સપ્લાય થઈ રહ્યું હતું.
લેટેસ્ટ રિપોર્ટમાં પાણી ‘ફિટ’, તંત્રનો પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો
AMCના હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે મળેલી ફરિયાદો બાદ તપાસ કરતા આ વિસ્તારોમાં પાણીમાં બેક્ટેરિયલ કોન્ટેમિનેશન એટલે કે જીવાણુઓનું પ્રમાણ જોવા મળ્યું હતું. જો કે, તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને 4 જૂનના રોજ 17 સેમ્પલ અને 5 જૂનના રોજ વધુ 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે, 4 અને 5 જૂનના તમામ સેમ્પલના રિપોર્ટ સંપૂર્ણપણે ‘ફિટ’ આવ્યા છે. હાલ આકાંક્ષા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં ક્લોરિનનું પ્રમાણ 1 થી 2ની વચ્ચે યોગ્ય માત્રામાં મળી આવ્યું છે અને પાણી પીવાલાયક જાહેર કરાયું છે. મેડિકલ ચેકઅપ દરમિયાન પણ કોઈ નવો રોગચાળાનો કેસ નોંધાયો નથી.
ભવિષ્ય માટે નવી SOP, 5થી વધુ ફરિયાદો પર તાત્કાલિક એક્શન
ભવિષ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં ન થાય અને આવી ગંભીર સમસ્યા ફરી ન સર્જાય તે માટે AMC દ્વારા એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવી છે. આ નવી સિસ્ટમ મુજબ, હવે જો કોઈ પણ વિસ્તારમાંથી પાણીને લગતી 5 કે તેથી વધુ સોસાયટીઓની ફરિયાદ એકસાથે આવશે, તો કોર્પોરેશન દ્વારા તેને ઇમરજન્સી ગણીને યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં ક્યાં સુધી?
ભલે અત્યારે કોર્પોરેશન 3 સેમ્પલ અનફીટ બાદ બાકીના સેમ્પલ ‘ફિટ’ હોવાનો અને કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો સંતોષ માની રહ્યું હોય, પરંતુ અહીં સવાલ એ થાય છે કે સોસાયટીઓના વોટર ટેન્ક સુધી પ્રદૂષિત અને બેક્ટેરિયાવાળું પાણી પહોંચ્યું જ કેવી રીતે? શું AMC ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનોના મેન્ટેનન્સમાં નિયમિત ધ્યાન નથી આપતું? પ્રદૂષિત પાણી પીવાના કારણે જો રોગચાળો ફાટી નીકળ્યો હોત તો તેનો જવાબદાર કોણ? તંત્ર હંમેશા પાણી વહી ગયા પછી જ કેમ પાળ બાંધે છે? નવી SOP બનાવવી આવકારદાયક છે, પરંતુ આવી નોબત જ ન આવે તેવું પૂર્વ-આયોજન કેમ કરવામાં આવતું નથી તેવા તીખા સવાલો સ્થાનિક રહીશો પૂછી રહ્યા છે.


