गुजरात

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day events occur on different days in the state


Jamnagar Zero Shadow Day : આકાશમાં સર્જાતી અદ્ભુત ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે જૂન મહિનો ખૂબ જ રોમાંચક સાબિત થઈ રહ્યો છે. સૂર્યની બદલાતી ગતિના કારણે હાલમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ‘Zero Shadow Day’ (શૂન્ય પડછાયા દિવસ) નો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ગુરુવારે, 4 જૂનના રોજ જામનગરના નભોમંડળમાં બપોરે બરાબર 12:48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવી જતાં થોડી સેકન્ડો માટે પડછાયો ગાયબ થઈ ગયો હતો.

વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા જામનગરમાં જીવંત પ્રદર્શન

આ દુર્લભ ખગોળીય ઘટનાને સામાન્ય જનતા અને વિજ્ઞાન પ્રેમીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે એક વિશેષ જાહેર નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રદર્શન મેદાનમાં સૂર્યપ્રકાશને ઝીલી શકાય તે રીતે ટેબલ પર સફેદ પ્લેટફોર્મ તૈયાર કરી તેના પર પારદર્શક કાચ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પૃથ્વીનો ગોળો, લંબકાર અને ગોળાકાર પાઇપ, સ્ક્વેર, ત્રિકોણ તેમજ બોલ જેવા જુદા જુદા ઉપકરણો ગોઠવીને તેના પડછાયાનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. 

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર 2 - image

બપોરે 12:48 મિનિટે પડછાયો થયો ગાયબ

બપોરે 12:00 વાગ્યાથી શરૂ કરીને બરાબર 12:48 મિનિટે પડછાયો બિલકુલ સીધી લીટીમાં આવીને ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ સૂર્યપ્રકાશ ઉલટી દિશા તરફ આગળ ધપ્યો ત્યાં સુધીનું પરફેક્ટ ડેમોન્સ્ટ્રેશન વિજ્ઞાન પ્રેમીઓએ નિહાળ્યું હતું. એમ. ડી. મહેતા વિજ્ઞાનકેન્દ્રની ટીમ અને ખગોળ મંડળના અગ્રણીઓએ આ દરમિયાન લોકોને ભૌગોલિક અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી.

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર 3 - image

સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ દિવસે સર્જાય છે આ ઘટના

ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શું આ ઘટના માત્ર જામનગરમાં જ બની છે? તો જવાબ છે ‘ના’. પૃથ્વીની ગતિના કારણે આ ઘટના ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જુદી-જુદી તારીખે અને સ્થાનિક સમયે જોવા મળે છે.

મે મહિનાના અંતમાં આ ઘટનાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતથી થાય છે. ત્યારબાદ જૂન મહિનાની શરૂઆતમાં ક્રમશઃ ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, રાજકોટ અને જામનગર તરફ સૂર્ય બરાબર માથા પર આવે છે. જે-તે શહેરના અક્ષાંશ (Latitude) મુજબ ‘Zero Shadow Day’ નો દિવસ નક્કી થાય છે.

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર 4 - image

શું છે ‘Zero Shadow Day’ પાછળનું ખગોળીય કારણ?

પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી રહીને સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. આ ભૌગોલિક સ્થિતિના કારણે વર્ષ દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ગતિ કરતો (ઉત્તરાયણ) અને દક્ષિણ તરફ ગતિ કરતો (દક્ષિણાયન) દેખાય છે. પૃથ્વી પર માત્ર વિષુવવૃત્તથી લઈને ઉત્તરમાં કર્કવૃત્ત અને દક્ષિણમાં મકરવૃત્ત વચ્ચેના વિસ્તારોમાં જ સૂર્ય બરાબર માથાની ઉપર (90 ડિગ્રીના ખૂણે) આવી શકે છે.

ગુજરાતના ઉત્તર ભાગમાંથી સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ કર્કવૃત્ત પસાર થાય છે. તેથી આ રેખાની દક્ષિણે આવેલા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વર્ષમાં બે વખત (એકવાર ઉત્તરાયણ વખતે અને બીજી વાર દક્ષિણાયન વખતે) પડછાયો શૂન્ય થવાની આ ઘટના બને છે. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર બરાબર લંબવત પડે છે ત્યારે કોઈપણ વસ્તુનો પડછાયો આજુબાજુ પડવાને બદલે બિલકુલ તેની નીચે જ છુપાઈ જાય છે.

આ પણ વાંચો: BIG NEWS: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર

જે શહેરો બરાબર કર્કવૃત્ત રેખા પર જ આવેલા છે, ત્યાં વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે 21 જૂને (વર્ષના લાંબામાં લાંબા દિવસે) આ ચમત્કાર જોવા મળે છે. આમ, જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમે લોકોને અદ્ભુત નજારાની સાથે-સાથે ખગોળ વિજ્ઞાનને ખૂબ જ સરળતાથી સમજવાની તક પૂરી પાડી હતી.

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજકોસ્ટ (GUJCOST) ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલના ડાયરેક્ટર ડૉ. સંજય પંડ્યા તેમજ તેમની ટીમના કોમ્યુનિકેટર્સ પંકજ ડાંગર, હાર્દિક કણજારીયા અને સદ્દામ નારેજા સહિત ખગોળ મંડળ-જામનગરના અગ્રણીઓ કિરીટભાઈ શાહ અને અમિતભાઈ વ્યાસ દ્વારા ઉપસ્થિત લોકોને સમગ્ર ખગોળીય ઘટનાની સચોટ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર રસપ્રદ નિદર્શનની સુંદર વ્યવસ્થા રંગતાલી ગ્રુપના સંજય જાની અને શબ્બીરભાઈ અખાણી દ્વારા કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button