गुजरात

અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામે આક્રોશ | Outrage in Amreli After Accident Victims’ Bodies Moved in Tractor Over Lack of Hearse



Amreli Accident: અમરેલી જિલ્લાના લાઠી નજીક ગઈકાલે (23મી મે) એક ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓની બેદરકારી સામે આવી છે. ત્રણ લોકોના મોત થયા બાદ ઘટનાસ્થળે મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવા માટે લાઠીમાં કોઈ શબવાહિની ઉપલબ્ધ નહોતી. જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શબવાહિની ન મળતા ટ્રેક્ટરમાં લાશો લઈ જવી પડી!

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા બાદ ઘટનાસ્થળે મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવા માટે લાઠીમાં કોઈ શબવાહિની ઉપલબ્ધ નહોતી. અંતે ભારે લાચારી વચ્ચે ત્રણેય મૃતદેહોને એક ટ્રેક્ટરમાં પાછળ ટ્રોલીમાં મૂકીને લઈ જવાની ફરજ પડી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકોએ વહીવટી તંત્રની નકામી વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક લોકોમાં કહેવું છેકે, અમરેલી જિલ્લામાં બે-બે સાંસદો હોવા છતાં લાઠી જેવા વિસ્તારમાં એક શબવાહિની સુધીની સુવિધા નથી. આ એ જ લાઠી પંથક છે જે રાજ્યને સૌથી વધુ કરોડપતિ ઉદ્યોગપતિઓ આપે છે. ડિજિટલ ઇન્ડિયા અને વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે આ વિસ્તારના રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ લાઠીને એક શબવાહિની પણ અપાવી શક્યા નથી તે અત્યંત શરમજનક બાબત છે.

આ પણ વાંચો: અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

નેતાઓ સામે સવાલ

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા જેવા દિગ્ગજો સત્તા પર હોવા છતાં લાઠીની જનતાને આવી કપરી સ્થિતિમાં અમાનવીય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટના બાદ લાઠી પંથકના લોકો દ્વારા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ એકસૂરે વહીવટી તંત્ર અને રાજકીય પદાધિકારીઓને વિનંતી સહ ચેતવણી આપી છે કે લાઠીને તાત્કાલિક ધોરણે સુવિધા સજ્જ શબવાહિની ફાળવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારના સ્વજનના મૃતદેહની આ પ્રકારે અવદશા ન થાય.



Source link

Related Articles

Back to top button