પતિએ પત્નીને કહ્યું,તેં મેલીવિદ્યા કરીને મારા ભાઇઓને મારી નાંખ્યા છે,તેમની આત્મા મારી પાછળ ફરે છે | Husband harasses wife in the name of witchcraft

![]()
વડોદરાઃ વડોદરાના પૂર્વ વિસ્તારમાં લવમેરેજ કરનાર પરિણીતાને મેલી વિદ્યામાં માનતા પતિનો વરવો અનુભવ થતાં આખરે તેનાથી કંટાળીને પિયરમાં ચાલી ગઇ છે.
પરિણીતાએ કહ્યું છે કે,મારા પરિવારજનોની મરજી વિરૃધ્ધ મેં યુવક સાથે લગ્ન કર્યા હતા અને અમને સંતાન પણ છે. પરંતુ મારા પતિ અંધશ્રધ્ધા અને મંત્ર-તંત્રમાં માનતા હોવાથી તેનો ભોગ હું અને મારું બાળક બની રહ્યા છીએ.
પતિ જ્યારે પણ બહાર જાય ત્યારે અમને પુરીને જાય છે.તેઓ દોરા-ધાગા અને મેલી વિદ્યા કરતા હોય છે.તેઓ મારા પર એવો ખોટો આરોપ મૂકી રહ્યા છે કે મેં (પત્નીએ) મેલી વિદ્યા કરીને તેમના ભાઇઓને મારી નાંખ્યા છે.જેથી તેમના ભાઇઓની આત્મા તેમની પાછળ ભટકી રહી છે.
આખરે પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ તેના પિયરીયાને જાણ કરતાં તેના ભાઇઓએ બાપોદ અભયમની મદદ લીધી હતી અને બહેનને ઘેર લઇ આવ્યા હતા. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મેલીવિદ્યાથી દૂર રહેવા કહ્યું હતું. જો કે પત્નીનું કાઉન્સેલિંગ કરતાં તેણે પતિ પાસે જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.



