મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband’s family members after a fight

![]()
જેતપુરમાં વકીલની ઓફિસમાં બઘડાટી : છૂટાછેડા બાબતનો ખાર રાખી પૂર્વ પતિની માતા સહિત 4 મહિલાઓએ માથાકૂટ ફરિયાદ નોંધાઇ
જેતપુર, : જેતપુરના તીનબત્તી ચોક પાસે ઓફિસ ધરાવતી એક મહિલા વકીલ પર તેના પૂર્વ પતિના પરિવારની 4 મહિલાઓએ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઢીકાપાટુનો મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દાસી જીવણપરા (નવાગઢ ધાર) વિસ્તારમાં રહેતા વકીલ જ્યોતિબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ. 26)એ જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણે ત્રણેક વર્ષ પહેલાં જેતપુરમાં રહેતા કરણ ઉર્ફે ભૂરો અશોકભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, મનમેળ ન થતાં ત્રણેક મહિના પહેલાં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. આ છૂટાછેડાનો ખાર રાખીને ગત બુધવારે બપોરે તે પોતાની મારૂતિ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસે કામ કરતા હતા, ત્યારે પૂર્વ પતિની રાજલ અશોકભાઈ પરમાર અને ચેતના અશોકભાઈ પરમાર પાછળના દરવાજેથી ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ ‘તે મારા ભાઈની જિંદગી બરબાદ કરી નાખી છે’ તેમ કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એટલામાં કરણની પહેલી પત્ની મનીષાબેન દુધાભાઈ સાહીયા પણ ત્યાં આવી પહોંચી હતી અને તેના વાળ ખેંચી ગાળો આપી ધઆજ તો તને મૂકવી નથી તેમ કહી માર મારવા લાગી હતી. આ બઘડાટી સાંભળીને ઓફિસમાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા અને તમામને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે પતિની માતા હંસાબેન પરમાર પણ ત્યાં આવી ને ગાળો ભાંડી ચારેય મહિલાઓએ મળીને મહિલા વકીલને માર માર્યો હતો. બાદમાં ચારેય કારમાં નાસી ગઇ હતી, આ અંગે પોલીસે ચારેય મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



