મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે બાદ પબ્લિક સ્કૂલની ઘટના | ahmedabad isanpur public school student eye injury compass attack

![]()
Ahmedabad News: અમદાવાદની શાળાઓમાં હવે રમત-ગમતના મેદાનને બદલે લોહીના ખેલ ખેલાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 ના એક વિદ્યાર્થી પર તેના જ સહાધ્યાયી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ વળાંક લીધો અને એક નિર્દોષ વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાની સ્થિતિ આવી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટના 20 એપ્રિલના રોજ બની હતી. 14 વર્ષીય સગીર ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 ની પરીક્ષા આપી રહ્યો હતો. સવારે 11:30 વાગ્યે પેપર પૂરું થયા બાદ તેના એક મિત્રને અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. મિત્રને બચાવવા અને ઝઘડો શાંત પાડવા આ વિદ્યાર્થી વચ્ચે પડ્યો હતો. જો કે ઉશ્કેરાયેલા હુમલાખોર વિદ્યાર્થીએ કંઈ પણ વિચાર્યા વગર કંપાસ બોક્સમાંથી તીક્ષ્ણ પરિકર કાઢ્યું અને કલાસરૂમની બેન્ચ પર ચઢીને આયાનની આંખમાં જોરથી મારી દીધું. આ ઘટના બાદ વર્ગખંડમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.
માતાનો આક્રોશ છોકરી બાબતે ઝઘડો થયો હોવાની ચર્ચા
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, તેના પુત્રને ગંભીર હાલતમાં અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઝઘડો કોઈ છોકરી બાબતે થયો હોવાનું કહેવાય છે, જોકે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
આ પણ વાંચો : દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ
વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે વિરોધાભાસ?
આ ઘટના ક્યાં બની તેને લઈને અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. ડો. એલ.ડી. દેસાઈ (શાસનાધિકારી)ના અનુસાર પ્રાથમિક રિપોર્ટ મુજબ આ ઘટના ક્લાસરૂમમાં નહીં પણ સ્કૂલ કેમ્પસની બહાર બની હોઈ શકે છે. જ્યારે નારોલ પીઆઇના અનુસાર પોલીસ તપાસ મુજબ, કલાસરૂમમાં જ બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને પરિકર મારવામાં આવ્યું છે.
પોલીસ કાર્યવાહી
નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સેવન્થ ડે સ્કૂલની હત્યા બાદ હવે પરિકરથી આંખ ફોડવાની આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. બાળકોના દફતરમાં પુસ્તકોની સાથે હવે હથિયારો ક્યાંથી આવે છે તે તપાસનો વિષય છે.


