અસલાલી પાન મસાલા ચોરીનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ, 6 હજુ ફરાર | Aslali Pan Masala Theft Case Solved: 2 Arrested from Maharashtra

![]()
Aslali Pan Masala Chori Case : અમદાવાદ ગ્રામ્યમાં આવેલા અસલાલીમાં થોડાક દિવસ પહેલા એક ગોડાઉનમાંથી 42.99 લાખ રૂપિયાના પાન મસાલાની થોડાક દિવસ પહેલા ચોરી થઈ હતી. જે બાદ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુનાની તપાસ માટે બનાવવામાં આવેલી અલગ-અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ચોરની ટોળકીને ઝડપી પાડી છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રના ભિવંડીથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને 6 આરોપી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં આરોપીઓએ ગોડાઉનમાંથી પાન મસાલાની ચોરી કરવા માટે એક ગાડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર જોવા મળ્યો હતો અને તેનું સરનામું મહારાષ્ટ્રનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં ચોરી કરેલો રૂપિયા 17,47,908નો મુદ્દામાલ અને ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 2,00,000ની ગાડી મળીને કુલ રૂપિયા 19,47,908નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અખ્તરઅલી રહેમતઅલી શેખ (ઉ.વ. 34, ભિવંડી) અને મોહમ્મદ અનસ હકીમખાન નજીરખાન (ઉ.વ.26 ભિવંડી) છે. આ ઉપરાંત અન્ય 6 આરોપીઓ હજુ પણ ફરાર (વોન્ટેડ) છે. ફરાર આરોપીઓમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ (પવારવાડી) ખાતે રહેતા અકબરખાન હબીબખાન, કૈસરખાન હબીબખાન અને શાહરુખ આમીર શેખનો સમાવેશ થાય છે. જ્યારે થાણે જિલ્લાના ભિવંડી ખાતે રહેતા અન્ય 3 આરોપીઓ અરબાજ મુબારક શેખ, મહમદઅલી મુનીર શેખ અને શરીફ બિસ્મીલ્લાખાન પણ ફરાર છે. પોલીસ દ્વારા આ તમામ 6 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



