गुजरात

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahmedabad crime branch arrests three for naranpura saibaba temple theft


Ahmedabad Saibaba Temple Robbery Case: અમદાવાદના નારણપુરામાં આવેલા શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે ન્યુ રાણીપ જી.એસ.ટી. ફાટક પાસે, રાજેશ્વરી સોસાયટી સામે જાહેર રોડ પરથી ઓટોરિક્ષા (નંબર GJ-01-TG-1682) સાથે ત્રણ ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 24,000ની કિંમતની ચાંદીની ચરણ પાદુકા, પંચધાતુની મૂર્તિઓ અને ગાયની મૂર્તિ સહિત કુલ રૂ. 55,300નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ત્રિપુટીએ ચાર દિવસ પહેલાં નારણપુરા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ 2 - image

મંદિરના તાળાં તોડી કિંમતી સામાનની ચોરી

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, નારણપુરામાં આવેલા શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં ચાર દિવસ પહેલાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના પરિસરમાં પ્રવેશ કરી, દેરીના દરવાજાનું લોક તોડીને અંદર રાખેલી ચાંદીની ચરણ પાદુકા, પંચધાતુની મૂર્તિ અને પિત્તળના લોટા સહિત કુલ 25,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી જે અંતર્ગત આજે આરોપીઓની ધરપકડ કરાઈ છે.

ઝડપાયેલા આરોપીઓનો જૂનો ગુનાઈત ઇતિહાસ

પોલીસના સકંજામાં આવેલા આરોપીઓમાં ભુરા ઉર્ફે મહેશ નરેશભાઈ ચુનારા (ઉં.વ. 29, રહે. ચાંદલોડિયા), રસીક સવજીભાઈ દંતાણી (ઉં.વ. 22, રહે. રાણીપ) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (સગીર)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે, જેમાં ભુરા સામે વટવા અને મણિનગરમાં જાહેરનામા ભંગ તેમજ જુગારના 6 ગુના અને રસીક સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને આગળની કાયદાકીય કાર્યવાહી માટે નારણપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button