અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત | Ahmedabad Road Safety Alert: Naroda Patiya Tops List of 33 Deadly Black Spots

Ahmedabad Road Safety Alert: બેફામ સ્પીડ, વાહન ચલાવતા મોબાઇલનો ઉપયોગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવી બાબતોથી અમદાવાદમાં રોડ અકસ્માતના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થતા હોય તેવા 33 બ્લેકસ્પોટ જાહેર કરાયા છે. જેમાં નરોડા પાટિયા પાસે સૌથી વધુ 20 અકસ્માતમાં 14 વ્યક્તિના મોત થયા છે.
ડ્રાઇવિંગમાં બેદરકારી જ નહીં જોખમી વળાંક
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ઓડિટમાં સામે આવેલી વિગતો અનુસાર વર્ષ 2021થી અમદાવાદના જે સ્થળે સૌથી વધુ અકસ્માતે મોત થયા હોય તેમાં શાંતિપુરા ચાર રસ્તા, નરોડા પાટિયા, ઇસ્કોન રોડ, જુના વાડજ સર્કલનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ હોટ સ્પોટમાં એક્સિડેન્ટ થવાની પદ્ધતિ અને કારણમાં સાતત્ય જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ભારે વાહન અને રાહદારી માટે સાંકડો રસ્તો કારણભૂત હોય છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની નવી માળખાગત સુવિધા પણ અકસ્માત માટે મુખ્ય જવાબદાર પરિબળ રહે છે. રબારી કોલોની ચાર રસ્તા પાસે મેટ્રોના પિલરમાં રિફ્લેક્ટિવ શીટ મૂકવામાં આવી નથી. જેના પગલે અકસ્માત સૌથી વધુ થાય છે. નવા ઝેબ્રા ક્રોસિંગ, સ્ટોપ લાઇન્સ પાસે યોગ્ય રિફ્લેક્ટિંગ માર્કિંગ્સ મૂકવા જરૂરી થઈ ગયા છે તેવું નિષ્ણાતોનું માનવું છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે અકસ્માત થવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં ૧૪ ગંભીર અકસ્માત નોંધાયા છે.



