‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Waters Treaty Pakistan Threatens War Against India Amid Severe Water Crisis

![]()
Indus Waters Treaty: સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આ સંધિને ફરીથી અમલમાં લાવવા અંગે પોતાનું જૂનું વલણ જાળવી રાખતા પાકિસ્તાન ધૂઆંપૂંઆ થયું છે. પહેલા પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપી હતી અને હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારત સામે સીધી યુદ્ધની ધમકી ઉચ્ચારી દીધી છે. પાકિસ્તાન તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તે પોતે ભારે જળ સંકટનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આપી યુદ્ધની ધમકી
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને સીધી યુદ્ધની ધમકી આપી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પાણી એ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો જ એક મહત્ત્વનો ભાગ છે. તેથી જ્યારે પણ દેશની સુરક્ષા જોખમમાં મૂકાશે, ત્યારે પાકિસ્તાન ભારત સામે યુદ્ધ છેડતાં અચકાશે નહીં. જો ભારત પાકિસ્તાન તરફ આવતો પાણીનો પુરવઠો રોકવા માટે કોઈ પગલાં લેશે અને ઇસ્લામાબાદને તેના પુરાવા મળશે, તો પાકિસ્તાન ભારત સામે સૈન્ય કાર્યવાહી કરવા પર પણ વિચાર કરી શકે છે.
પાકિસ્તાનમાં જળ સંકટ માટે ભારત પર દોષારોપણ
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ દેશમાં ચાલી રહેલી પાણીની અછત માટે નવી દિલ્હી પર દોષ મઢવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ભારત પર પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો, ચિનાબ નદીના પ્રવાહમાં હેરાફેરી કરવાનો અને પાણીના આંકડા છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જો કે, તેમણે પોતે સ્વીકાર્યું પણ હતું કે છેલ્લા એક વર્ષમાં થયેલા ઘટનાક્રમો અંગે તેમની પાસે કોઈ સચોટ કે વર્તમાન માહિતી નથી. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાનની લગભગ એક તૃતીયાંશ વસ્તી, ખાસ કરીને સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંત ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ, બંને દેશો 60 દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત
પહલગામ હુમલા બાદ ભારતે લીધું હતું કડક પગલું
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ભારતે કડક વલણ અપનાવીને 1960ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી. આ મામલે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સમક્ષ કરગરી ચૂક્યું છે, પરંતુ ભારત પોતાના નિર્ણય પર અડગ છે. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાની સરહદ પરથી ચાલતા આતંકવાદી માળખાને ખતમ કરવા માટે કોઈ વિશ્વસનીય અને નક્કર પગલાં નહીં ભરે, ત્યાં સુધી આ સંધિ સસ્પેન્ડ જ રહેશે.



