गुजरात

જગન્નાથ રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે | ahmedabad jagannath rathyatra route renovation Project



Ahmedabad Jagannath Rathyatra Route: અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલા ઐતિહાસિક જગન્નાથજી મંદિરથી દર વર્ષે ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. રથયાત્રા મધ્ય ઝોનના અંદાજે 12 કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. 

રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ

રથયાત્રા માર્ગને વધુ સુવિધાસભર, આકર્ષક અને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના અંદાજે 1,200 મીટર લાંબા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મેરિડીયન, સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેચ તેમજ કોટા અને ગ્રેનાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથે સુવિધાયુક્ત ફૂટપાથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, મંદિરના પ્રવેશદ્વારથી મંદિરના ગેટ નંબર-2 તથા સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને આકર્ષક લાઇટિંગ સાથે વિશાળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મહત્ત્વના જંક્શનોનું પુનઃડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ (સ્કલ્પચર), પ્લેસ મેકિંગ, સેન્ટ્રલ વર્જ, હેંગિંગ લાઇટ્સ સહિતના વિવિધ વિકાસ અને સૌંદર્યીકરણના કાર્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 910

રૂ.19.59 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ સમગ્ર પ્રોજેક્ટનું હાલમાં અંદાજે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો AMCનો ટાર્ગેટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા રૂટ પૈકી જમાલપુર વોર્ડમાં 1110 મીટર, ખાડીયા વોર્ડમાં 4620 મીટર, શાહીબાગ વોર્ડમાં 1220 મીટર, દરિયાપુર વોર્ડમાં 3640 મીટર તેમજ શાહપુર વોર્ડમાં 120 મીટર તથા ઉત્તર ઝોન સરસપુર વોર્ડમાં 1150 મીટર મળી કૂલ 13.01 કિલો મીટરનો રૂટ આવે છે. જે પૈકી જમાલપુર ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા સુધીના રથયાત્રા રૂટ ડેવલોપ કરવાની કામગીરી હાલ ચાલુ છે.



Source link

Related Articles

Back to top button