गुजरात

‘સરકારને શક્તિ ન હોય તો ખેડૂતોને અવળે માર્ગે ના દોરે…’ નસવાડી APMCમાં મકાઈ વેચવા આવેલા ખેડૂતોમાં રોષ | farmers angry as maize buying quota reduced at naswadi apmc



Naswadi APMC: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી મકાઈ ખરીદી સેન્ટર ઉપર ટેકાના ભાવે મકાઈ વેચવા આવેલા ખેડૂતોમાં આજે(2 જૂન) તંત્રની નીતિઓ સામે રોષ જોવા મળ્યો હતો. સરકારે અચાનક જ મકાઈ ખરીદીના ક્વોટામાં 50 ટકાનો ઘટાડો કરી દેતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

નવો પરિપત્ર બન્યો ખેડૂતો માટે પડતા પર પાટું!

મળતી વિગતો મુજબ, નસવાડી મકાઈ ખરીદી કેન્દ્ર પર અત્યાર સુધી નિયમ મુજબ એક ખેડૂત દીઠ 60 કટ્ટા મકાઈની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવતી હતી. જોકે, આજથી તંત્ર દ્વારા અચાનક નવો પરિપત્ર જાહેર કરી ખેડૂત દીઠ માત્ર 30 કટ્ટા મકાઈ જ ખરીદવાની જાહેરાત કરાતા કેન્દ્ર પર હાજર ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. આ આકસ્મિક નિર્ણયને કારણે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.

બાકીની મકાઈ લઈને ક્યાં જવું? ખેડૂતોનો સવાલ

નસવાડી પંથકના ખેડૂતોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, “મકાઈ પાક ટેકાના ભાવે વેચવામાં જો સરકાર માત્ર 30 કટ્ટા જ ખરીદશે, તો બાકી વધેલી મકાઈ લઈને અમારે ક્યાં જવું?” 

ખેડૂતોએ શું કહ્યું?

ખેડૂતોએ કહ્યું કે, ‘આજ રોજ નસવાડી APMCમાં મકાઈ ખરીદી માટે મેસેજ કરીને ખેડૂતોને APMCમાં બોલાવ્યા છે. ખેડૂતોને 53 થી 56 કટ્ટા મકાઈ લેવાની વાત હતી, પણ નવા પરિપત્રમાં હવે 30 કટ્ટા માલ લેવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ 30 કટ્ટા એટલે માત્ર 75 મણ થાય. હવે ખેડૂતો અગાઉ જણાવેલા કટ્ટા પ્રમાણે મકાઈ લઈને આવ્યા છે તો બાકીનો માલ ખેડૂતો ક્યાં વેચે? અત્યારે માર્કેટમાં 400 રૂપિયા ભાવ હતો, એની જગ્યાએ હમણાં 360 રૂપિયામાં ખાનગી વ્યાપારીઓ માલ ખરીદે છે, તો ખેડૂતને ખોટ કેટલી બધી જાય છે! મારી સરકારને વિનંતી છે જો તમારાથી ખરીદવાની શક્તિ ના હોય, તો ખેડૂતોને અવળે માર્ગે ના દોરશો. ખેડૂતોને સીધા ખાનગી બજારનો માર્ગ વેચવા આલો અને ખોટી વાહવાહ ના લેશો.’



Source link

Related Articles

Back to top button