સોનાના મોતીની માળાની લાલચ આપી 2 શખ્સે રિક્ષા ચાલકના 15લાખ પડાવ્યા | 2 men duped rickshaw driver of Rs 15 lakh by luring him with a gold pearl necklace

![]()
આશ્રમ માટે દાન માંગીને ઓળખાણ કેળવ્યા બાદ જાળમાં ફસાવ્યા : રકમ લઇને જામનગર આવેલા ઓખાના રિક્ષા ચાલકને ખૂનના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા ભરેલી બેગ લઈ 2 શખ્સો ફરાર
જામનગર, : જામનગરમાં સોનાની માળા વેચવાના બહાને ઓખાના રિક્ષાચાલક પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. ફરિયાદ અનુસાર બે અજાણ્યા શખ્સોએ પહેલાં આશ્રમ માટે દાન માંગીને ઓળખાણ કેળવી હતી, અને ત્યારબાદ સોનાના મોતીની માળાની લાલચ આપીને રિક્ષાચાલકને જાળમાં ફસાવ્યો હતો.
ઓખાના છકડોચાલક વિજયભાઇ ભગવાનદાસ દેવમુરારી (ઉં.વ. 45)ની પોલીસ ફરિયાદ મુજબ, ગત 23 મીએ તેમના ઘરે આવેલા બે અજાણ્યા શખ્સોએ આશ્રમની પરચી બતાવી દાન માંગ્યું હતું. ત્યારબાદ, જૂના જમાનાનો સિક્કો બતાવી ઓળખાણ વધારી હતી અને ફોનમાં પોતાનું નામ ધનાભાઈ પરમાર તથા તેની સાથે રહેલા શખ્સનું નામ વિજય હોવાનું જણાવ્યું હતું. ધનાભાઇએ દ્વારકા બોલાવીને એક સોનાનું મોતી બતાવી તે વેચવાનું હોવાનું ંકહ્યું હતું. આ મોતીને સોની પાસે ચકાસવા લઇ જતાં મોતી સાચુ હોવાનું અને 2400ની કિંમત હોવાનું જણાવ્યું હતું. આ પછી આરોપીઓએ તેમની પાસે આવા સોનાના મોતીની આખી માળા વેચવાની હોવાનું કહી અને કિંમત પૂછતા ફરિયાદી તેની કિંમત અંદાજે ૧૫ લાખ આવે તેમ જણાવ્યું હતું. માળા ખરીદવા માટે ફરિયાદીએ મિત્ર, સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા, તેમજ બેંકમાંથી લોન મેળવી કુલ ૧૫ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. બન્નેએ જામનગરમાં અમારે હોસ્પિટલમાં પૈસા આપવાના છે તેમ કહી માળા લેવા જામનગર બોલાવ્યા હતા.
ફરિયાદી પોતાની પત્ની અને સંતાનો સાથે ભાડાની કારમાં તા. 26ના જામનગર આવ્યા હતા. આરોપી ધનાભાઈ પરમારના જણાવ્યા મુજબ કુલ 15 લાખ રૂપિયા સાથે જી.જી. હોસ્પિટલ નજીક પહોંચ્યા હતા. આયુર્વેદિક હોસ્પિટલના પાછળના દરવાજા પાસે બન્ને આરોપીઓએ રૂમાલમાં વીંટાળેલી કથિત સોનાની માળા બતાવી હતી, અને તરત જ પૈસા માંગ્યા હતા. ફરિયાદીએ માળા ચકાસ્યા બાદ જ રૂપિયા આપવાની વાત કરતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હોસ્પિટલમાં દર્દી દાખલ હોવાનું કહી પૈસા તાત્કાલિક આપવા દબાણ કર્યું હતું. પૈસા નહીં આપો તો દર્દીને કંઈ થશે અને તમારા વિરૂદ્ધ ખૂનનો આરોપ મૂકવામાં આવશે-તેવી ધમકી આપી હતી. સાથે જ પરિવારને નુકસાન પહોંચાડવાની બીક બતાવી ફરિયાદી પાસે રહેલી 15 લાખ રૂપિયાની બેગ બળજબરીથી છીનવી લઇ નાસી ગયા હતા. વિજયભાઈ ભયના કારણે તરત ફરિયાદ નોંધાવી શક્યા નહોતા, બાદમાં ધનાભાઈ અને તેના સાથી વિજય સામે ફરિયાદ નોંધાવતા જામનગર સિટી બી ડિવિઝનના પી.એસ.આઇ. કેશવાલાએ વધુ તપાસ હાથ ધરી છે.


