અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ | ahmedabad apsara aradhana theatre owners fraud builder cid crime complaint

![]()
Ahmedabad News: નવરંગપુરામાં કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરાધના-અપ્સરા થિયેટરના સંચાલકો સહિત પાંચ શખ્સોએ મિલકત વેચાણનો સોદો કર્યા બાદ બિલ્ડર પાસેથી એડવાન્સના રૂપિયા 2.42 કરોડ ખંખેરી લીધા હતા. જોકે, બાદમાં ડીલ કેન્સલ કરીને રૂપિયા પરત ના કરતા, ભોગ બનનાર બિલ્ડરે CID ક્રાઈમના અમદાવાદ યુનિટમાં આ તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
બાનાખત સમયે 2.42 કરોડ રૂપિયા ચુકવ્યા
બોડકદેવના પુષ્પવન એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરામાં ઓફિસ ધરાવતા ભાવેશભાઈ જાનીએ ચાંગોદરના આરજી સિટી મોલમાં મલ્ટિપ્લેક્સ બનાવ્યું હતું. આ બિલ્ડિંગની ખરીદી માટે મણિનગરના મનુભાઈ શાહ, વીરેન્દ્ર શાહ, જીતેન્દ્ર શાહ અને બિંદેશ શાહ તેમની પાસે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઓઢવનું આમ્રપાલી અને મણિનગરનું અપ્સરા-આરાધના થિયેટર જે 98 વર્ષના ભાડા પટ્ટે છે તે વેચીને મલ્ટિપ્લેક્સ ખરીદશે. આ સાંભળીને ભાવેશભાઈને આ મિલકતો પસંદ આવતા તેમણે જ બંને થિયેટર 12 કરોડમાં ખરીદવાની ઓફર આપી હતી અને બાનાખત પેટે 72 લાખ રોકડા તેમજ 1.70 કરોડ ચેક મારફતે એમ કુલ 2.42 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવ્યા હતા.
મિલ્કત બારોબાર વેચી દીધી
આ રકમનું પેમેન્ટ કર્યા બાદ જ્યારે ભાવેશભાઈએ દસ્તાવેજ અને લખાણ કરવાનું કહ્યું, ત્યારે મનુભાઈએ અન્ય ભાગીદારોની લેખિત મંજૂરીનું બહાનું કાઢીને સમય પસાર કર્યો હતો. થોડા દિવસો બાદ બિલ્ડરને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ મિલકત મહંમદ ફારૂક શેખ નામના અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધી છે. જ્યારે ભાવેશભાઈએ પોતાના ફસાયેલા નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ તેમને ધાક-ધમકીઓ આપીને પૈસા પાછા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હાલમાં આ મામલે CID ક્રાઈમે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.



