गुजरात

‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર | Mansukh Vasava Alleges Police Political Collusion in Illegal Liquor Trade in Gujarat


BJP MP Mansukh Vasava Letter Bomb: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોમ્બ’ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે.

મહારાષ્ટ્ર સરહદેથી ઘુસે છે વિદેશી દારૂ, PSI સ્તરના અધિકારીઓની સંડોવણી!

મળતી માહિતી અનુસાર, સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું, ‘પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે, તે તમામના પીએસઆઈ (PSI)ની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવે છે.’

'ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે...', ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર 2 - image

પત્રમાં નર્મદા પોલીસના કર્મચારીઓના નામ જોગ ઉલ્લેખ

સાંસદ મનસુખ વસાવા માત્ર આક્ષેપો કરીને અટક્યા નથી, પરંતુ તેમણે નર્મદા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે. આ ઉપરંત આ બાબતનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડા (SP) ને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે અને પુરાવા સાથે આ નેટવર્ક તોડી પાડવા જણાવ્યું છે. પોલીસ અને રાજકીય નેતાઓની છત્રછાયા વિના આટલું મોટું નેટવર્ક ચાલવું અશક્ય હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.

આ પણ વાંચો: વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે ઝડપાયો

‘યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ’

પત્રના અંતે સાંસદે અત્યંત સંવેદનશીલ અને લાચારીભરી અપીલ કરતાં લખ્યું, ‘નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ.’ ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કાયદાના કડક અમલની વાતો થાય છે, ત્યાં સત્તાધારી પક્ષ ભાજપના જ સાંસદ દ્વારા પોતાની જ પોલીસ અને નેતાઓ સામે આ પ્રકારે ખુલ્લો મોરચો માંડવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે ગૃહમંત્રી આ ‘લેટર બોમ્બ’ બાદ નર્મદા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે કેવા આકરા પગલાં ભરે છે.



Source link

Related Articles

Back to top button