गुजरात

છોટા ઉદેપુર: બોડેલીના જબુગામમાં તળાવ ખોદકામ મુદ્દે ભારે હોબાળો: પ્રજાપતિ સમાજની રોજીરોટી છીનવાતા વ્યાપક રોષ | Sujalam Sufalam Work in Jabugam Threatens Livelihood of Pottery Making Families



Sujalam Sufalam Work in Jabugam, Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલું સ્થાનિક તળાવ હાલમાં એક મોટા ગંભીર વિવાદનું કેન્દ્ર બન્યું છે. સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવને ઊંડું કરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ખોદકામના કારણે સ્થાનિક પ્રજાપતિ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. વર્ષોથી આ તળાવની માટીમાંથી માટલા અને પરંપરાગત માટીના વાસણો બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો હવે આક્ષેપ કરી રહ્યા છે કે વિકાસના નામે તેમની રોજીરોટી છીનવી લેવામાં આવી છે. આ ગંભીર મામલો હવે સ્થાનિક વહીવટી તંત્રના દ્વાર સુધી પહોંચ્યો છે.

નિયમો નેવે મૂકીને એટલું ખોદકામ કરાયું કે હવે રેતી આવી ગઈ!

સ્થાનિકોના જણાવ્યાનુસાર, જબુગામના પ્રજાપતિ સમાજના લોકોને પરંપરાગત વ્યવસાય માટે રોજગારી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ તળાવમાંથી માટી મેળવવાનો કાયદેસરનો હક્ક પણ આપવામાં આવેલો છે. જોકે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરે નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે તોતિંગ ખોદકામ કરી નાખ્યું છે.

સમાજના લોકોનો આક્ષેપ છે કે તળાવના તળિયામાંથી બધી જ કિંમતી ચીકણી માટી ખોદીને બહાર કાઢી લેવામાં આવી છે અને હવે અંદર માત્ર રેતી જ બચી છે. આ પરિસ્થિતિમાં માટી વગર પોતાનો પરંપરાગત ધંધો અને ગૃહ ઉદ્યોગ કેમ કરીને કરવો તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે.

ગ્રામ પંચાયત સામે પણ ગંભીર આક્ષેપો 

તળાવની માટી ચોરી અને ગેરકાયદે ખોદકામ મુદ્દે પ્રજાપતિ સમાજના લોકો ગ્રામ પંચાયતની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોના કહેવા મુજબ, તળાવ ઊંડું કરવા માટેનો ઠરાવ નિયમ મુજબ ગ્રામસભા બોલાવીને ગામલોકોની સંમતિથી કરવાનો હોય છે, પરંતુ અહીં માત્ર પંચાયત બોડીએ બંધ બારણે જ ઠરાવ પાસ કરી દીધો હતો.

ગામના લોકોને કે વર્ષોથી નિર્ભર પ્રજાપતિ સમાજને વિશ્વાસમાં લીધા વિના જ આ લેવાયેલા નિર્ણયથી ભારે નારાજગી છે. આક્ષેપ છે કે પ્રજાપતિ સમાજનો હક્ક છીનવીને આ કિંમતી માટી બાજુમાં ચાલી રહેલા નેશનલ હાઈવેના કામમાં વાપરવા માટે મોકલી દેવામાં આવી છે. પ્રજાપતિ સમાજ ન્યાયની ગુહાર લગાવતા સ્પષ્ટ કહી રહ્યો છે કે, જે માટી કોન્ટ્રાક્ટર ગેરકાયદેસર રીતે અહીંથી ઉપાડી ગયો છે તે માટી તાત્કાલિક પંપ અથવા પંચાયત દ્વારા અમને પાછી અપાવવામાં આવે.

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

40 પરિવારોના બાળકોના ભવિષ્ય અને ઘર ચલાવવા સામે ચિંતા

જબુગામ ખાતે રહેતા લગભગ 40 જેટલા પ્રજાપતિ પરિવારો સંપૂર્ણપણે આ તળાવની માટી પર જ નિર્ભર છે. તેમની પાસે ખેતી કે મજૂરી સિવાય રોજગારીનો અન્ય કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી. પરિવારના મોભીઓ ચિંતા વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે, ‘હવે માટી વિના અમારો ગૃહ ઉદ્યોગ કેવી રીતે ચાલશે? ટૂંક સમયમાં જ ઘરમાં રહેલી થોડી ઘણી માટી પણ પૂરી થઈ જશે, ત્યારબાદ બાળકોની સ્કૂલની ફી કેમ ભરવી અને ઘરનું રસોડું કેમ ચલાવવું?’ આ ચિંતા માત્રથી જ લોકો કમકમી ઉઠે છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી.

તંત્રની ભૂમિકા પર નજર

જબુગામનો આ તળાવ માટી ખોદકામનો મુદ્દો હવે માત્ર જળસંચય કે વિકાસની કામગીરી સુધી સીમિત રહ્યો નથી, પરંતુ પછાત વર્ગના અનેક ગરીબ પરિવારોના અસ્તિત્વ, રોજગાર અને કાનૂની અધિકાર સાથે જોડાયેલો સંવેદનશીલ પ્રશ્ન બની ગયો છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું ઉચ્ચ વહીવટી તંત્ર ગરીબોની આ આજીવિકાની ચીસને કેટલી ગંભીરતાથી લે છે અને કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે.



Source link

Related Articles

Back to top button