VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પડાવ્યા | Preity Zinta at Bhadrakali Temple in Ahmedabad

![]()
Preity Zinta in Ahmedabad: બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ અને IPL ટીમ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા આજે(3 મે) અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે જોવા મળી હતી. પ્રીતિએ મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કર્યા હતા. માતાજીની મૂર્તિ સમક્ષ હાથ જોડીને બેઠેલી પ્રીતિએ પોતાની ટીમની સફળતા અને ખેલાડીઓના સારા પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી.
પ્રીતિએ મા ભદ્રકાળીના દર્શન બાદ ભદ્રના કિલ્લાની લીધી મુલાકાત
દર્શન કર્યા બાદ પ્રીતિએ ઐતિહાસિક ભદ્રના કિલ્લાની મુલાકાત લઈને અમદાવાદના ભવ્ય વારસાને નિહાળ્યો હતો. પોતાની મનપસંદ અભિનેત્રીને અચાનક પોતાની વચ્ચે જોઈને સ્થાનિક લોકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રીતિએ પણ સ્થાનિક લોકો સાથે ફોટા પડાવ્યા હતા. આ દરમિયાન પ્રીતિને જોવા માટે મંદિર અને કિલ્લાની આસપાસ લોકોની ભારે ભીડ જામી હતી.
આ પણ વાંચો: મોહનલાલ-મમૂટીનો જાદુ ચાલ્યો: ‘પેટ્રિયટ’ એ બે જ દિવસમાં 50 કરોડનો આંકડો વટાવ્યો!
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે 3 મેના રોજ મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. ગુજરાત અને પંજાબ વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાં પંજાબ આગળ છે, જ્યારે ગુજરાતે બાકીની 3 મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી ટક્કર છે. તેની અગાઉની મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું હતું. ગયા સિઝનમાં બંને ટીમો વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી, અને તે મેચમાં પણ પંજાબનો વિજય થયો હતો. આજની મેચમાં કઈ ટીમ ટોચ પર આવશે તે જોવાનું બાકી છે.



