પંચમહાલ: ‘તું ગમતી નથી…’ પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વ્હાલું કર્યું | morva hadaf mother infant son Self Destruction due to harassment In panchmahal

![]()
Panchmahal News: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના માતરિયા વેજમા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધો અને સાસરિયાઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને 28 વર્ષીય પરિણીતાએ પોતાના 5 માસના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતકના પિયર પક્ષે પતિ, સાસુ અને દિયર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો?
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગામના ચડુભાઈ હીરાભાઈ માલીવાડની પુત્રી સંગીતાબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે મોરવા હડફના માતરિયા વેજમા ગામના રાકેશ કાંતિભાઈ બારીયા સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ગાળામાં બધું જ સુખરૂપ ચાલતું હતું અને સંગીતાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, થોડા સમય બાદ પતિ રાકેશના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધો હોવાની જાણ થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો.
માનસિક ત્રાસ અને આત્મહત્યા
પરિણીતાના પિયર પક્ષના જણાવ્યા અનુસાર, પતિ રાકેશ ઉપરાંત સાસુ મીરાબેન અને દિયર સુનિલ પણ સંગીતાબેનને “તું અમને ગમતી નથી, તારા પિતાના ઘરે જતી રહે” તેમ કહી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. આ સતત થઈ રહેલા ઘરેલુ ક્લેશથી કંટાળીને ગત 5 ફેબ્રુઆરીના રોજ સંગીતાબેન પોતાના ૫ માસના પુત્ર કિયાનને લઈને ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ બાદ માતા-પુત્રની લાશ ઘર નજીકના જ એક કૂવામાંથી મળી આવી હતી.
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કૂવામાંથી બંનેના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોરવા હડફની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, પિયર પક્ષના આક્ષેપો અને ફરિયાદને આધારે મોરવા હડફ પોલીસે પતિ રાકેશ બારીયા, સાસુ મીરાબેન અને દિયર સુનિલ વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવા બદલ (દુષ્પ્રેરણા) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ ગોધરા ડીવાયએસપી (DySP) દ્વારા કરવામાં આવી રહી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.



