गुजरात

નિસર્ગની અસર : રાજ્યમાં 50,000થી વધુ લોકોનું સ્થળાંતર, 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગાંધીનગર : નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, તમામ આગોતરી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં 50,000થી વધુ લોકોનું સ્થળાંતર

નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે.  ભરુચ અને અન્ય વિસ્તારોમાં 70થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે સવારે જણાવ્યું હતું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં 50,000થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

પંકજ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના અપાઇ

દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 15 ટીમો, એસડીઆરએફ ની 6 ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરત આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચાર વિમર્શ કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઝીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ ઉતારાયા

સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં 236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. 120થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે.

Related Articles

Back to top button