गुजरात

ગુજરાતના ક્યા ટોચના IPS અધિકારીને એક જ દિવસમાં બે હાર્ટ એટેક આવતાં થયું મોત ? ક્યા મોટા કાંડના કારણે હતા દુઃખી ?

અમદાવાદઃ અમદાવાદના રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીનું રવિવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. આઈપીએસ અધિકારી ભાટીના આકસ્મિક નિધનને કારણે પોલીસ તંત્રમાં શોકની લાગમી છે. સ્વાદુપિંડની બિમારીથી પિડાતા ભાટીને શનિવારે નાદુરસ્ત તબિયતના કારણે સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં જ રવિવારે સવારે અને બપોરે બે હાર્ટએટેક આવતાં કેસરીસિંહ ભાટીનું મૃત્યુ નિપજ્યું હતું. રવિવારે સવારે 9 વાગ્યે તેમને હાર્ટ એટેક આવતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર ચાલુ હતી તે દરમિયાન બપોરે એક વાગ્યે બીજો હાર્ટએટેક આવ્યો હતો. રવિવારે બપોરે એક વાગ્યે આવેલો હૃદયરોગનો બીજો હૂમલો આઈપીએસ કે.જી. ભાટી માટે જીવલેણ પુરવાર થયો હતો.

વર્ષ 1999ની બેચના સિનિયર આઈપીએસ કેસરીસિંહ ભાટી તેમના તાબામાં આવતી અમદાવાદ રેન્જના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલના રૂપિયા 50 લાખના તોડકાંડને કારણે દુઃખી હતા. ખંભાતની બનાવટી ખાતર કાંડમાં રેન્જ આઈજીપી કચેરીના કર્મચારી 50 લાખની તોડકાંડમાં પકડાયા હતા. એક મહિલાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી રાઓલને ઝડપી લીધો હતો. રૂપિયા 2.15 લાખની કિંમતના ખાતરમાં 50 લાખના તોડમાં પોતાના તાબામાં આવતાં કર્મચારીની સંડોવણીથી આઈજીપી ભાટી વ્યથિત હતાં. તેમણે આ કૌભાંડ ધ્યાન પર આવતાં ખાતરનો જથ્થો કબજે કરાવીને તેના નમૂના એફએસએલમાં મોકલાવ્યાં હતાં. ગુનો નોંધતા પહેલાં રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી હતી. એ પહેલાં જ લાંચ કાંડ બન્યો હતો. પોતાને ફસાવવા માટે નિશ્ચિત લોબી સક્રિય થઈ હોવાની આશંકાથી આઈજીપી ભાટી તણાવમાં રહેતા હોવાનું કહેવાય છે.

Related Articles

Back to top button