વડાપ્રધાન મોદી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી ગુજરાત આવે તેવી શક્યતા
ગાંધીનગર: ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જઇ રહી છે. આ વચ્ચે સૂત્રો તરફથી એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડાપ્રધાન મોદી ડિસેમ્બર બાદ ફરી જાન્યુઆરી માસમાં ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા આંદોલનના પરિણામે ભારતીય જનતા પાર્ટીને માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા. આ જ પરિણામોના કારણે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ ને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રકાસ બાદ વર્ષે 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ છેલ્લા બે દશકાથી પ્રદેશમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર આવીને અટકી ગઈ હતી.
વર્ષે 2022ની વિધાનસભાની પૂર્વે તૈયારીના ભાગરૂપે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ બેઠકો પર જીત મેળવાનો પ્લાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઘડી દીધો છે. હવે વડાપ્રધાન પણ આવતા મહિને ફરી ગુજરાત પ્રવાસ પર આવી ભાજપની પરંપરાગત વૉટબેંક એવા પાટીદાર સમાજની સંસ્થા ‘સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે.