લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four seriously injured in massive fire at coaching centre in Lucknow

![]()
– બિલ્ડિંગમાં પેટ ક્લિનિક પણ હોવાથી પ્રાણીઓનાં મોતની પણ શક્યતા
– એનિમેશન સેન્ટર્સમાં 20 થી 25 વર્ષના સ્ટૂડન્ટ્સ કોચિંગ લેતા હતા : 14 અગ્નિશામક વાહનોની ત્રણ માળના બિલ્ડિંગમાં લાગેલી આગ ઠારવા મથામણ
– બિલ્ડિંગ ચારેબાજુથી પેક હોવાથી કોઇને ભાગવાની તક મળી નહીં મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
લખનઉ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના અલીગંજ વિસ્તારમાં ઉષા મહેતા માર્ગ પર આવેલી ત્રણ માળની ઈમારતમાં ભયાનક આગ લાગી હતી. એ ઈમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. આ આગની દર્દનાક ઘટનામાં ૧૫ સ્ટૂડન્ટ્સનાં મોત થયા હતા. ચારને ગંભીર ઈજા પહોંચી છે. આખાય બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લાવવાના પ્રયાસો મોડી રાત સુધી ચાલ્યા હતા. ફસાયેલા વિદ્યાર્થીઓને સલામત બહાર લાવવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની અટકળો ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તુરંત આ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. મૃતક સ્ટૂડન્ટ્સની ઉંમર ૨૦થી ૨૫ વર્ષની આસપાસ છે. યુવાન દીકરા-દીકરી ગુમાવનારા પરિવારજનો પર આભ ફાટયું છે.
લખનઉમાં જ્યાં કોચિંગ સેન્ટર્સ ધમધમે છે એ વ્યસ્ત વિસ્તાર અલીગંજની ત્રણ માળની ઈમારતમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગી એ ઈમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર્સ ચાલતું હતું. વર્કિંગ ડે હોવાથી મોટાભાગના સ્ટૂડન્ટ્સ હાજર હતા. આગ લાગી અને વિકરાળ બની ગઈ ત્યાં સુધી વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરમાં જાણ થઈ ન હતી. આગનું વિકરાળ રૂપ જોયા પછી જીવ બચાવવા વિદ્યાર્થીઓ કૂદવા માંડયા હતા, પરંતુ આગ એટલી ભયાવહ હતી કે એવા પ્રયાસો કરતાં ઘણાં સ્ટૂડન્ટ્સ પણ આગની જ્વાળામાં હોમાઈ ગયા હતા.
ઈમારત એવા વિસ્તારમાં હતી કે તેની ચારેબાજુ પેક હતી. એકેય તરફથી નીકળી શકાય એવી શક્યતા ઓછી હોવાથી કેટલાય વિદ્યાર્થીઓ આગથી બચવા બાથરૂમમાં ભરાઈ ગયા હતા, તો કેટલાકે ટેરેસમાં જવાની કોશિશ પણ કરી હતી. દાવો તો ત્યાં સુધી થઈ રહ્યો છે કે કોઈ કારણથી ટેરેસમાં જવાની સીડીમાં તાળુ મારેલું હતું. એના કારણે વિદ્યાર્થીઓ બિલ્ડિંગની ઉપર જઈ શક્યા ન હતા. ત્રણ માળની આખી ઈમારત બળીને ખાક થઈ ગઈ હતી. આ બિલ્ડિંગમાં જ નીચે પેટ ક્લિનિક હતું. કેટલાક પ્રાણીઓનાં પણ મોત થયાનું કહેવાય છે. ઈમારતની સાવ ઉપર ગેમ ઝોન ચાલતું હતું. આગને કાબૂમાં લેવા માટે ૧૪ અગ્નિશામક વાહનોની જરૂર પડી હતી. આ અગ્નિકાંડ થયો ત્યારે સીએમ યોગી અલીગઢની મુલાકાતે ગયા હતા. અલીગઢની મુલાકાત ટૂંકાવીને સીએમ લખનઉ આવી ગયા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું હતું. તેમણે આ ઘટનામાં તપાસનો આદેશ પણ આપ્યો છે. જવાબદારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. પીએમ મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, સપાના વડા અખિલેશ યાદવ વગેરેએ સાંત્વના પાઠવી હતી. પીએમએ મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય આપી હતી. યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના ફંડમાંથી મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સહાય અને ઈજાગ્રસ્તનો ૫૦ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.



