राष्ट्रीय

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm vijay cancels commercial temple projects



CM Thalapathy Vijay Cancels 46 Commercial Projects: તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેત્રી કઝગમ (TVK) સરકારે એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની પાછલી DMK સરકારના એક મોટા નિર્ણયને ઉલટાવી દીધો છે. જેમાં સરકારે મંદિર રિસોર્સ અને ફંડથી બનાવવામાં આવી રહેલા ₹245.85 કરોડના 46 પ્રોજેક્ટ્સ માટે વહીવટી મંજૂરી સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આમ, હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ છે.

તમિલનાડુમાં CM વિજયનો સપાટો!

હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રદ કરાયેલા પ્રોજેક્ટ્સમાં ₹115.77 કરોડના 29 મેરેજ હોલ અને ₹130.08 કરોડના 17 કોમર્શિયલ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. TVK સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ 46 પ્રોજેક્ટ્સ પર કામ હજુ શરૂ થયું નથી અને મંદિરોને નાદારી અથવા નાણાકીય કટોકટીનો સામનો કરતા અટકાવવા માટે તેમને રોકવા જરૂરી છે. હવે આ ફંડનો ઉપયોગ રાજ્યભરના મંદિરોમાં ભક્તો માટે નવીનીકરણ, સુરક્ષા અને સુવિધાઓ જેવા પવિત્ર હેતુઓ માટે કરવામાં આવશે.

હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ

ઘણા સમયથી તમિલનાડુમાં હિન્દુ સંગઠનો અને જમણેરી કાર્યકરો વિરોધ કરી રહ્યા છે કે, મંદિરના નાણાંનો ઉપયોગ મેરેજ હોલ, શોપિંગ કોમ્પલેક્ષ અથવા અન્ય બિન-ધાર્મિક વ્યાપારી હેતુઓ માટે ન થવો જોઈએ. તેમણે માગ કરી હતી કે, મંદિરના ફંડનો ઉપયોગ ફક્ત સનાતન ધર્મ અને ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ માટે જ કરવામાં આવે. આ કારણોસર કેટલાક સંગઠનોએ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે ઝુંબેશ પણ શરૂ કરી હતી.

AIADMKના મહા સચિવ એડપ્પદી કે. પલાનીસ્વામીએ અગાઉ મંદિરના ફંડના કોમર્શિયલ કામો માટે મંદિરના પૈસા પાણીની જેમ વાપરવા પર કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે CM વિજયે આ નિર્ણય રદ કર્યો છે, જે હિન્દુ સંગઠનો અને ભક્તોની સૌથી મોટી માગને સીધી રીતે પૂર્ણ કરે છે. સરકારે કોર્ટના સ્ટે ઓર્ડર અને મંદિરો પર વધતા નાણાકીય બોજને આના મુખ્ય કારણો તરીકે ગણાવ્યા છે.

સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજયનો જયજયકાર

આ ઐતિહાસિક આદેશ એટલા માટે પણ મત્ત્વપૂર્ણ છે કારણ કે , બે દિવસ પહેલા તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિધાનસભામાં પોતાના સંબોધનમાં HR&CE વિભાગમાં મોટા સુધારાનો વાયદો કર્યો હતો. 

રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નવી સરકાર એ નક્કી કરશે કે મંદિરની તમામ સંપત્તિનો ઉપયોગ ફક્ત તેના પવિત્ર અને ધાર્મિક કાર્યો માટે જ કરવામાં આવે. શુક્રવાર મોડી રાત્રે મુખ્યમંત્રી વિજયની અંતિમ મંજૂરી મળતા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ પછી સોશિયલ મીડિયા પર વિજયના વખાણ થઈ રહ્યા છે. જેમાં યૂઝર્સ અને કાર્યકર્તાનું કહેવું છે કે, તમિલનાડુમાં મંદિર પ્રશાસનને પારદર્શી અને સુદ્રઢ બનાવવાની દિશામાં આ એક ક્રાંતિકારી અને સાહસિક નિર્યણ છે.



Source link

Related Articles

Back to top button