નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on National Highway

![]()
વડોદરા,હાઇવે પર ઝીરો ફેટાલિટી કોરિડોરના કાર્યક્રમના બીજા દિવસે જ હાઇવે પર થયેલા અકસ્માતમાં શાકભાજીના ટેમ્પા ચાલકનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ફાધર્સ ડે ના દિવસે જ ત્રણ બાળકોએ પિતાને ગુમાવ્યા છે.
તરસાલી બાયપાસ વડદલારોડ પર શીવ રેસિડેન્સીમાં રહેતા અશોકકુમાર નંદલાલ વાલીયા (ઉં.વ.૪૮) ઇલેક્ટ્રિક થ્રી વ્હિલર ટેમ્પામાં શાકભાજીની ફેરી કરે છે.તેઓને ત્રણ સંતાન છે. આજે મળસ્કે ચાર વાગ્યે રાબેતા મુજબ તેઓ ટેમ્પો લઇને એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. શાકભાજી ભરીને તેઓ ઘરે પરત આવતા હતા. તે દરમિયાન સવા સાત વાગ્યે વાઘોડિયા બ્રિજથી કપુરાઇ બ્રિજ તરફ જતા શક્તિ હોટલની સામેના ભાગે પૂરઝડપે આવતા એક કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પાના બે ટૂકડા થઇ ગયા હતા. માથામાં ગંભીર ઇજા થતા અશોકકુમારનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કારચાલક જયરાજ જીતેન્દ્રભાઇ મહાડીક, ઉં.વ.૨૫ (રહે. હરીદર્શન પેલેસ સોસાયટી, એરફોર્સની બાજુમાં, મકરપુરા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને નાઇટ ડયૂટિ કરીને પરત ઘરે જતો હતો. તે દરમિયાન ઝોકું આવી જતા અકસ્માત થયો હતો.
પાંચ દિવસ પહેલા
હાઇવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
બીજા મોપેડ પર જતા દંપતીને પણ કારની ટક્કર વાગતા ઇજા થઇ હતી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરણીરોડ સવાદ ક્વાટર્સ જવાહર ફળિયામાં રહેતા મનુભાઇ રણછોડભાઇ ગરોડા ગત ૧૬ મી તારીખે એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. સવારે ૮ વાગ્યે એક કારચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી. તેઓની સાથે બીજા મોપેડ પર જતા દંપતીને પણ ટક્કર વાગતા તેઓ રોડ પર પટકાયા હતા. મનુભાઇને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કારચાલક નિકુંજ ભૂપેન્દ્રભાઇ પટેલ (રહે. વૈકુંઠ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



