નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Proposal To Change Nimeta Vadodara Water Pipeline Route

![]()
Vadodara Corporation : નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર એસ્ટેટ સુધી નવી પાણીની લાઈન નાખવાની કામગીરીમાં રૂટ બદલવાની દરખાસ્ત મુલતવી રાખવા કોંગ્રેસના વોર્ડ નંબર-15ના કાઉન્સિલર આશિષ જોશીએ સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી છે.
મૂળ આયોજન મુજબ નિમેટાથી નેશનલ હાઈવે બ્રિજ ક્રોસ કરીને આજવા ચોકડીથી સીધી પાણીની લાઈન લાવવાની હતી અને તે મુજબ મંજૂરી પણ આપવામાં આવી હતી. જોકે હવે આ રૂટમાં ફેરફાર કરીને નિમેટાથી સયાજીપુરા નેશનલ હાઈવે જંકશનથી હાઈવેને સમાંતર નવા અતિથિગૃહ સુધી અને ત્યાંથી ડભોઈ દશાલાડ ભવન થઈ સરદાર એસ્ટેટ સુધી લાઈન લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવાયા મુજબ સીધી લાઈન લાવવાના બદલે લાઈનને લાંબા અને વળાંકવાળા માર્ગે લઈ જવામાં આવી રહી છે. નવા રૂટમાં ત્રણ સ્થળે 90 ડિગ્રીના કાટખૂણા આવતા હોવાથી પાણીના પ્રવાહ પર અસર થવાની શક્યતા છે. વધુમાં આ ગ્રેવિટી આધારિત લાઈન હોવાથી રૂટ બદલાવના કારણે પૂર્વ વિસ્તારને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકશે નહીં તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. આજવા ચોકડી બ્રિજ નીચેથી ત્રીજી લાઈન નાખવાની મંજૂરી મળી નથી તેથી આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળે છે.



