કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara news panigate shops sealed over littering sparks row

![]()
Vadodara Corporation : વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશને ધ્યાનમાં રાખીને હવે કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી ઉપરાંત કચરો ફેકનાર વેપારીઓની દુકાનને પણ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરતાં વિવાદ સર્જાયો છે. જેથી કેટલીક જગ્યાએ વેપારી અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા રહે છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કચરો નાખનાર વેપારીઓ પાસેથી રૂપિયા 1000 થી લઈને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેથી લોકોમાં સફાઈ માટેની લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાજેતરમાં વોર્ડ નંબર 14 ના પાણીગેટ વિસ્તારમાં આવેલી આશિષ એન્ટરપ્રાઇઝ અને જીનગર લાઇનિંગ વર્કસના વેપારીએ તેમની દુકાનનો કચરો રસ્તા પર ફેંક્યો હતો. જેની જાણવોર્ડ નંબર 14 ના વોર્ડ ઓફિસરને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ વેપારીને રૂ.5,000 નો દંડ ફટકાર્યો હતો. સાથે-સાથે દુકાનને પણ સીલ માર્યું હોવાથી વોર્ડ ઓફિસર અને વેપારી વચ્ચે ચકમક ઝરી હતી. વેપારીએ દંડ ભરપાઈ કરવાની તૈયારી બતાવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જે અંગે વેપારીએ કચરો નહીં નાખવાની બાહેધરી આપવા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.



