નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ | narmada dediapada dudh sanjeevani milk packets found abandoned on road

![]()
Dudh Sanjeevani Yojana Milk Packets Wasted: નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકો માટેના ‘દૂધ સંજીવની’ના ઘણા પેકેટ્સ રસ્તા પર મળી આવતા ચકચાર મચી છે. આદિજાતિ બાળકોને પોષણ પૂરું પાડવા માટેની આ સરકારી યોજનાના પેકેટો આ રીતે રસ્તા પર કઈ રીતે પહોંચ્યા, તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.
અગાઉ ઘાટોલી વિસ્તારમાંથી પેકેટ મળ્યા હતા
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોના આરોગ્ય અને પોષણ માટે આ દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ પણ ડેડિયાપાડાના ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓ વારંવાર બનવી તે યોજનાના વિતરણ અને દેખરેખ વ્યવસ્થામાં રહેલી ખામીઓ તરફ આંગળી ચીંધે છે.
સ્થાનિકોમાં ભારોભાર રોષ
બાળકોના હક્કના આ પોષણયુક્ત આહારનો આ પ્રકારે બગાડ થતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સરકારી સંપત્તિનો આ બગાડ કોની બેદરકારીનું પરિણામ છે – સપ્લાય ચેઈન, પરિવહન કે પછી અન્ય કોઈ વહીવટી ક્ષતિ? તે અંગે સઘન તપાસ જરૂરી છે. હાલ તો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી, જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો: મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં
બેદરકારીનું કેન્દ્ર ક્યાં?
આ પ્રકારે બિનવારસી હાલતમાં મળી આવવા તે માત્ર એક વહીવટી ક્ષતિ નથી, પરંતુ કુપોષણ સામે લડી રહેલા આદિવાસી બાળકોના હક્ક સાથે ખિલવાડ છે. અગાઉ પણ ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના બની ચૂકી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પાઠ કેમ ન શીખવામાં આવ્યા? આ આખી કડીમાં બેદરકારીનું કેન્દ્ર ક્યાં છે? શું આ મામલે માત્ર કાગળ પરની તપાસ કરીને સંતોષ માની લેવાશે, કે પછી બાળકોના હક્ક પર ત્રાપ મારનારા જવાબદારો સામે કોઈ દાખલારૂપ કડક કાયદાકીય પગલાં ભરાશે?



