गुजरात

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! | Plane Crash Site Transformation Feeding 12000 Stray Animals Daily in Ahmedabad


Feeding stray animals: અમદાવાદના પ્લેન ક્રેશની ઘટનાએ ફક્ત ગુજરાત કે ભારત જ નહીં, સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. ત્યારે આ સ્થળે અકાળે જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે કલાપીનગરના એક સેવાભાવી વ્યક્તિએ પશુ-પક્ષીઓને ભોજન આપવાની શરૂઆત કરી હતી. જેને મ્યુનિ.ના સીએનસીડી વિભાગે વેગ આપ્યો અને સતત એક વર્ષ સુધી અહીં 12 હજાર જેટલા અબોલ પશુ-પક્ષીઓને ભોજન કરાવવામાં આવ્યું છે. આ કાર્ય આજે પણ ચાલુ જ છે.

નિર્જન સ્થળે ખોરાક માટે ભટકતા પશુ-પક્ષીઓ

અમદાવાદમાં એક વર્ષ પહેલાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, તે જગ્યા માનવ વસવાટથી દૂર અને થોડી ઉજ્જડ જેવી છે. માટે અહીં વસવાટ કરતા અબોલ પશુ-પક્ષીઓને ભોજન મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. તેમાંય પ્લેન ક્રેશની ઘટના બાદ તો અહીં વાતાવરણ સાવ સૂમસામ બની ગયું હતું.

પ્લેન ક્રેશ સાઇટ, ઘોડા કેમ્પ અને રેલવે લાઇનના ઉજ્જડ સ્થળોએ ભોજન વિતરણ

તેવામાં 2018થી ‘ગ્રીન હેન્ડ ફાઉન્ડેશન’ના માધ્યમથી અબોલ જીવોને ભોજન કરાવતા કલાપીનગરના રહેવાસી કિરણભાઈ પટણીએ અહીં આવીને અબોલ જીવોને ખોરાક આપવાનું શરૂ કર્યું છે. તેઓ જણાવે છે કે, શાહીબાગ, અસારવા, મેઘાણીનગર સહિતના વિસ્તારમાંથી દરરોજ 1800 નંગ રોટલી, કોરા ભાત, ચણ સહિતની વસ્તુઓ એકત્ર કરે છે. ખૂટતી વસ્તુઓ અને જરૂરિયાત મ્યુનિ.નો સીએનસીડી વિભાગ પૂરી પાડે છે. બાદમાં જીવદયા રથ મારફતે આ ખાદ્ય સામગ્રી પ્લેન ક્રેશ સાઇટ ઉપરાંત ઘોડા કેમ્પ, રેલવે લાઇનના ઉજ્જડ વિસ્તાર વગેરે સ્થળોએ અબોલ જીવોને આપવામાં આવે છે.

ખૂટતી ખાદ્ય સામગ્રી અને સહાયકો મ્યુનિ.તંત્રએ પૂરા પાડ્યા

અમદાવાદ મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના વડા નરેશ રાજપૂત જણાવે છે કે, જુવાર, મકાઈ, ઘઉં, મગ, બાજરી વગેરે ચણ ઉપરાંત 4 કિલો દહીં, 4 લિટર દૂધ, 250 કિલો રોટલી, 140 કિલો શાકભાજી, 7 કિલો ફળ, 42 પાણીના બાઉલ, 38 નંગ ફૂડ બાઉલ વગેરે ખૂટતી વસ્તુઓ આ સેવાભાવી વ્યક્તિને પૂરી પાડવામાં આવે છે. આ સિવાય એક ડ્રાઇવર અને બે સહાયક બહેનોને મહેનતાણું આપીને જીવદયાની પ્રવૃત્તિને ટકાવી રાખવાના પ્રયાસો કરાયા છે.

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! 2 - image

આ પણ વાંચો: અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત

પશુ-પક્ષીઓ અમારી રાહ જોઈને બેઠા હોય છે!

કિરણભાઈ જણાવે છે કે, સેવાનું આ કાર્ય તેમને વારસાગત મળ્યું છે. તેમના દાદી અબોલ જીવોને ખવડાવતા હતા. તેમના પિતા સાયકલ પર થેલી રાખીને અબોલ જીવોને ખોરાક આપતા હતા. હવે આ કાર્ય તેમણે આગળ વધાર્યું છે. રિક્ષા ચલાવતા વધેલી રકમમાંથી આ કાર્ય કરતા હતા. નિયત સમયે જ્યારે તેઓ સ્થળ પર પહોંચે ત્યારે પશુ-પક્ષીઓ રીતસર રાહ જોઈને બેઠા હોય છે. આજે દિવસનો 400 કિલો ખોરાક એકત્ર કરીએ છીએ.

મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગે તેમને સહયોગ પૂરો પાડ્યો હતો. પરિણામે આજ સુધી કિરણભાઈ દરરોજ અહીં આવીને શ્વાન, બિલાડી, ખિસકોલી, કબૂતર, મોર, પોપટ, વાંદરા, કાગડાને ભોજન આપે છે.



Source link

Related Articles

Back to top button