ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Road Safety Report 2024 20 Deaths Daily Over Speeding Named Top Cause

![]()
Gujarat Road Safety Report 2024: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એનાલિટિકલ સ્ટડી ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન ગુજરાત-2024ના અહેવાલમાં જાહેર કરાયો છે જેમાં અકસ્માતના પ્રમાણને લઈને ચિંતાજનક ચિત્ર રજૂ કરાયું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં સમગ્ર ગુજરાતમાં કુલ 15,588 માર્ગ અકસ્માત થયા હતા જેમાં 7,717 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સિવાય કુલ 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા જે પૈકી 9,301 લોકો તો ઈજાગ્રસ્ત થતાં અપંગતાનો ભોગ બન્યા હતા. આ રિપોર્ટ પરથી એવા તારણ બહાર આવ્યા છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ 20 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે.
ઓવર સ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ
અહેવાલના ચોંકાવનારા વિશ્લેષણ મુજબ, ગુજરાતના માર્ગો પર રોજ સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે અને દરરોજ 20 લોકો મૃત્યુ પામે છે. અકસ્માતો પાછળનું સૌથી મુખ્ય અને મોટું કારણ વાહનોની ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. નિયત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવાની લ્હાયમાં નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે.
પીક અવર્સ: સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધી સૌથી વધુ અકસ્માત
સમય આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય અકસ્માતો માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ અને ઉતાવળ અકસ્માતનું કારણ બને છે. વધુમાં, આ અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓમાં 25થી 35 વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જે પરિવાર માટે આર્થિક અને સામાજિક ખોટ છે.
અકસ્માતમાં કોના મૃત્યુ?
રાહદારી : 1,747
ટુ વ્હીલર : 3,722
કાર-ટેક્સી : 991
ટ્રક : 571
આ પણ વાંચો: ‘સમય આવશે ત્યારે બધાને જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપના લોકો પર જ બગડ્યાં
કેવા માર્ગો પર અકસ્માત?
સીધા રોડ : 12,390
વળાંકવાળા : 1,554
બ્રિજ પર : 702
રિપોર્ટમાં એક આશ્ચર્યજનક તથ્ય એ સામે આવ્યું છે કે વળાંક વાળા રસ્તાઓ કરતાં સીધા રોડ પર અકસ્માતનું પ્રમાણ ઘણું વધારે છે. સીધા રસ્તા મળતાં જ ચાલકો ગતિ વધારી દે છે, જે અકસ્માત નોતરે છે.
કયા વિસ્તારોમાં અકસ્માત?
રહેણાંક : 3,818 અકસ્માત
શૈક્ષણિક : 1,142 અકસ્માત
માર્કેટ-મોલ : 8,246 અકસ્માત
હાઇવે પર કેટલા અકસ્માત?
એક્સપ્રેસ હાઇવે : 81
નેશનલ હાઇવે : 3,488
સ્ટેટ હાઇવે : 3,926
અકસ્માતનો સમય
સાંજે 6થી 9 : 415 અકસ્માત
રાત્રે 9થી 12 : 333 અકસ્માત
સવારે 9થી 12 : 322 અકસ્માત
આ ઉપરાંત, શાંત રહેણાંક વિસ્તારો કરતાં ભીડભાડ વાળા માર્કેટ વિસ્તારોમાં વધુ અકસ્માતો નોંધાયા છે. માર્ગ પર ચાલતા રાહદારીઓ આ અકસ્માતોમાં સૌથી વધુ ભોગ બન્યા છે અને તેમના મોતના આંકડા ચિંતાજનક છે.
અકસ્માતનું કારણ શું?
ઓવરસ્પીડ : 14,390
દારૂ પીવાથી : 64
રોંગ સાઇડ : 609
મોબાઇલ ફોન : 36
વયજૂથ પ્રમાણે અકસ્માતમાં મોત
25-35 વયના : 2,119
35-45 વયના : 1,800
45-60 વયના : 1,213
આ પણ વાંચો: સરકારી શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બાદ કૃષિ મંત્રી કટારા બેકફુટ પર, માફી માગી લીધી
ચિંતાજનક સ્થિતિ: પંચમહાલ અને સાબરકાંઠામાં અકસ્માતો વધ્યા
રાજ્યના ભૌગોલિક વિસ્તારોની વાત કરીએ તો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં અકસ્માતો અને ગંભીર ઈજાઓનું પ્રમાણ અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાઇ કરીને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે અમદાવાદ શહેર, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને મોરબીમાં અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે.
આ રિપોર્ટ બાદ હવે વહીવટી તંત્ર અને આર.ટી.ઓ. દ્વારા કડક સ્પીડ ગન સાથે નાઇટ પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.


