વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also ended their lives

![]()
વડોદરા,બિહારમાં રહેતા યુવકનું અવસાન થતા તેના આઘાતમાં આવીને વડોદરામાં રહેતા તેના એક મિત્રે ગઇકાલે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારબાદ આજે સવારે ત્રીજા મિત્રે પણ ગળા ફાંસો ખાઇ લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે બપોરે ૨૩ વર્ષનો અજાણ્યો યુવક મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતા માથું કપાઇ જતા તેનું મોત થયું હતું. જે અંગે રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મરનારનું નામ રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ, ઉં.વ.૨૬ (રહે. જશોદા કોલોની,મકરપુરા, મૂળ રહે.બિહાર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, રવિશંકરકુમારના એક મિત્રનું બિહારમાં પાંચ દિવસ અગાઉ અવસાન થયું હતું. તેના વિરહમાં વ્યથિત રવિશંકરકુમાર ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ મૂકતો હતો કે, તેરે પાસ બહુત જલદી આતા હું. સબ લોગ મુજે માફ કર દેના . મેરી માતા કા ખયાલ કોન રખેગા.રવિશંકરકુમારે મિત્રના મોતના આઘાતમાં જ પોતે જીવન ટૂંકાવી લીધું હોવાની શક્યતા છે.
જ્યારે આપઘાતનો અન્ય એક કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આજે સવારે દાખલ થયો હતો. જેમાં મૃતકનું નામ વિકાસ દિનેશભાઇ પ્રસાદ, ઉં.વ.૨૩ (રહે. જશોદા કોલોની, મકરપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનું જણાવવું છે કે, ગઇકાલે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનાર રવિશંકર અને વિકાસ બંને મિત્રો હતો. રવિશંકરના મોત પછી આઘાતમાં વિકાસે પણ જીવન ટૂંકાવી દીધું હોવાની શક્યતા સેવાઇ રહી છે. જે દિશામાં તપાસ ચાલુ છે. વિકાસ અને રવિશંકરકુમાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે.



