गुजरात

અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ | Ahmedabad plane crash: Investigation still at snail’s pace one year on



– 260નો ભોગ લેનારા અકસ્માતનો રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિના લાગશે

– અમેરિકાની કંપનીએ બનાવેલા આ વિમાનના એન્જિનોને વધુ ચકાસણી માટે અમેરિકામાં જ મોકલાયા છે!

નવી દિલ્હી : ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઇ ગયું હતું, ૨૬૦ લોકોનો ભોગ લેનારા આ ગોઝારા અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતા તપાસ રિપોર્ટ હજુ પણ અભેરાયે છે. પોતાના સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારો ન્યાયની રાહ જોઇ રહ્યા છે. ખરેખર અકસ્માત થયો કેવી રીતે તે રહસ્ય પરથી ક્યારે પરદો ઉઠશે અને ખરેખર જવાબદાર કોણ તેને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે તપાસ રિપોર્ટ જાહેર થવામાં હજુ પણ ત્રણ મહિનાની રાહ જોવી પડી શકે છે. 

એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ (અમેરિકી બોઇંગ કંપનીનું વિમાન બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર)એ અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી, ઉડાન ભર્યાની કેટલીક સેકન્ડોમાં જ તે ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માત બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. ઘટનાના એક વર્ષમાં તપાસ રિપોર્ટ જાહેર થઇ જશે તેવી આશા હતી. જોકે એવા અહેવાલો છે કે વિમાનના બન્ને એન્જિનોને વધુ ટેક્નીકલ ચકાસણી માટે અમેરિકા મોકલવામાં આવ્યા છે. અમેરિકામાં હાલ પણ આ એન્જિનોની ચકાસણી ચાલી રહી છે અને કોઇ જ રિપોર્ટ ભારતને સોંપવામાં આવ્યો નથી. એવામાં અંતિમ રિપોર્ટ જાહેર થવામાં હજુ ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે. 

આ તપાસમાં આંતરરાષ્ટ્રીય એવિએશન ઓથોરિટી, વિમાન બનાવનારી કંપની, અમેરિકાનુ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇન્ગ, જીઇ એરોસ્પેસ વગેરે દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં એવા વિશેષ ટેક્નીકલ સાધનો છે કે જેની મદદથી આ એન્જિનની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પહેલા જે પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો તેમાં દાવો કરાયો હતો કે અચાનક જ બન્ને એન્જિનને મળતું ઇંધણ બંધ થઇ ગયું અને એન્જિન સાવ બંધ થઇ ગયા હતા જે બાદ વિમાન ક્રેશ થઇ ગયું હતું. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો મુજબ ૧૨ મહિનાની અંદર અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કરી દેવો પડતો હોય છે.

પ્રાથમિક તપાસ સામે આવ્યો તેમાં આડકતરી રીતે દોષનો ટોપલો પાયલટ પર ઢોળવામાં આવ્યો હોવાના દાવા થયા હતા, એવામાં અંતિમ રિપોર્ટ જાહેર થાય તે પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ દ્વારા એક નિવેદન જાહેર કરાયું છે. સંગઠનના અધ્યક્ષ કેપ્ટન સી. એસ. રંધાવાએ કહ્યું છે કે પ્રાથમિક રિપોર્ટને આંતરરાષ્ટ્રીય મીડિયાએ એક રીતે મૂલવ્યો જાણે પાયલટોએ જ એન્જિન બંધ કરી દીધુ હોય, તપાસ માત્ર ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ  પુરતી જ સીમિત ના  રહેવી જોઇએ, તેમાં વિમાનના ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને કમ્પ્યુટિંગ સિસ્ટમની પણ ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ. બોઇંગ ૭૮૭ વિમાનોમાં અગાઉ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, લિથિયમ બેટરી, ઇલેક્ટ્રિકલ ફાયર વગેરે સમસ્યાઓ સામે આવી ચુકી છે. સંગઠને માગ કરી છે કે આ મામલે પાયલટો પર દોષનો ટોપલો ના ઢોળવામાં આવે.

નોંધનીય છે કે જે વિમાન ક્રેશ થયું અને મોટી જાનહાની થઇ તેને અમેરિકાની કંપની બોઇંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, એવામાં વિમાનના એન્જિનને પણ અમેરિકામાં જ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એવામાં શું અમેરિકા પોતાની જ કંપનીને દોષિત ઠેરવશે અને પીડિતોને યોગ્ય  ન્યાય કરી શકશે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો આ મામલામાં બોઇંગની કોઇ ખામી સામે આવી તો અમેરિકાની છાપ પણ ખરડાશે એવામાં પુરી શક્યતાઓ છે કે અમેરિકા આ મામલે યોગ્ય ન્યાય નહીં આપી શકે અથવા નિષ્પક્ષ રહીને તપાસમાં સાથ ના પણ આપે.     



Source link

Related Articles

Back to top button