લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man found in well

![]()
કેશોદ પંથકનાં આધેડ દોઢ-બે માસથી લાપત્તા બની ગયા હતા
મરી જવાનું રટણ કરતાં આધેડે માનસિક બિમારીથી કંટાળી કુવામાં જંપલાવી જીંદગી ટુંકાવ્યાનું ખુલ્યું
રાજકોટ: રાજકોટની ભાગોળે પાળ રોડ પર આવેલ વાડીમાં સ્થિત કુવામાંથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક દોઢેક માસથી લાપતા કિશોરભાઇ ગોવિંદભાઇ ભાલાણી (ઉ.વ.૪૮, રહે. અંકુરનગર રોડ, ઉમિયા ચોક પાસે)નો હોવાનું ખુલ્યું હતું.
પાળ રોડ પર આવેલા એક રેસ્ટોરેન્ટ નજીક આવેલી વાડીમાંથી કુવામાં અજાણ્યા આધેડની લાશ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઉપરાંત તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કોહવાયેલા મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડયો હતો.
પીએસઆઇ બી.આર.ભરવાડ સહિતના સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતા તે કિશોરભાઇ ભાલાણી (ઉ.વ.૪૮) હોવાનું ખુલ્યું હતું. પોલીસે જણાવ્યું કે, મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ટિફિન સર્વિસનું કામ કરતા હતા. મૂળ કેશોદના અજાબના વતની છે.
મૃતકને ચાર-પાંચ વર્ષથી માનસિક બિમારી લાગુ પડી હતી. જેની દવા પણ ચાલુ હતી. કેટલાક દિવસથી તે મરી જવાનું રટણ કરતા હતા. બાદમાં ગઇ તા.૧-૪ના ઘરેથી નીકળી ગયા હતા. જે મામલે ત્રણેક દિવસ બાદ તા.૪ના તેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. બાદમાં આજે તેનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. માનસિક બિમારીના કારણે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.



