વડોદરા નજીક નર્મદામાં ડૂબી ગયેલા ત્રણમાંથી બે ના મૃતદેહ મળ્યા, એકને લોકોએ બચાવી લીધો હતો | Bodies of 2 out of 3 who drowned in Narmada near Vadodara found one was rescued by locals

![]()
Vadodara Drowning : વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જવાના અવારનવાર બનાવ બનતા હોય છે જેમાં ગ્રામજનો રેતીના લીઝધારકો સામે આક્ષેપો કરી રહ્યા છે.
કરજણ તાલુકાના રણાપુર ખાતે ગઈકાલે આવી જ રીતે ડભોઇના ત્રણ મિત્રો નાહવા ગયા ત્યારે તેઓ પાણીના વહેણમાં તણાયા હતા. બૂમરાણ મચતા એક યુવકને ગ્રામજનોએ બચાવી લીધો હતો. જ્યારે બીજા બે યુવકનો પતો લાગ્યો ન હતો.
કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હોવા છતાં બંને યુવક મળતા નહીં હોવાથી આજે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. બંને યુવકો પૈકી એક યુવકનો ગઈ મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા એક યુવકનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો છે. પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, અગાઉ આ પ્રકારના ડૂબવાના બનાવોમા રેતીના લીઝ ધારકો દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે મોટા ખાડા પડી જતા હોવાથી નિર્દોષ લોકો ડૂબી જતા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કિશન કહારે કહ્યું હતું કે, મૃતકના નામ જય રામ રબારી 15 વર્ષ અને સાગર રબારી (બંને રહે-કરમાલ ગામ, તા ડભોઇ, વડોદરા મૂળ ધાનેરા, બનાસકાંઠા) હોવાનું જાણવા મળ્યું છે.



