અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSIના સમાધાન માટે ધમપછાડા, ફરિયાદ ન થતા પોલીસની કામગીરી પણ શંકામાં | Gujarat Woman PSI Assaults Visually Impaired Man In University Police Station

![]()
Woman PSI Sonal Rathod Assault Gopalbhai Darji : પોલીસ સ્ટેશન સામાન્ય વ્યક્તિ સાથે થતા અન્યાય, અત્યાચાર અને ગુનાખોરીની ફરિયાદ કરવા માટે છે, પણ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઊલટી જ ગંગા વહી. એક દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી PSI સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો. જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા PSIએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે ધમપછાડા કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો છે, છતાં પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી નથી. જેને લઈને યુનિવર્સિટી પોલીસની કામગીરી પર પણ શંકા થઈ રહી છે. આ ઘટના ઉપરથી એક વાત કહી શકાય કે, જો આ બાબતે ફરિયાદ થશે તો, પોલીસ સ્ટેશન જ ઘટના સ્થળ ગણાશે, અને ત્યાં હાજર પોલીસકર્મી સામે જ ફરિયાદ નોંધાશે.
પ્રજ્ઞાચક્ષુ આધેડને 7 કલાક જેટલું પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ મહિલા PSIએ માર મારી ઇગો સંતોષ્યો
પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ એક દિવસ પહેલા તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હોવાથી તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 7 કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવવામાં આવી હતી. ઘટનાના દિવસે કલાકો વિત્યા બાદ ચાંગોદરમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડે સાંજે આવીને કહ્યુ કે, ‘ક્યાં છે મારા છોકરાને મારનાર’, અને પ્રજ્ઞાચક્ષુને લાતો, લાફા અને લાકડીના ફટકા માર્યા હતા. આ પછી આધેડને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમણે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલા PSI માફી માગવાના બહાને સમાધાન કરવા તેમના ઘરે આવી હતી, અને પોતે આવું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. એ પછી ત્યાં ગુજરાત સમાચારની ટીમે તેમને સવાલ કરતા ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.
વેજલપુર પોલીસના કોન્સ્ટેબલે ફરજ પડતી મુકી સમાધાન કરવામાં રસ લીધો
મહિલા PSI સોનલ રાઠોડ પોતે વાંક ગુનામાં હોવાથી તેણે સમાધાન કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પહેલા તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક કોન્સ્ટેબલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે મોકલ્યા હતા. અને પોતે બહાર ઊભી હતી. જ્યારે પ્રજ્ઞાચક્ષુ ઘરે આવ્યા ત્યારે તે મહિલા PSI પણ પીડિતના ઘરે આવી હતી, અને સમાધાનની વાત કહેતી હતી. ત્યારે નવાઈની વાત એ છે કે, કેદી જાપ્તાની ફરજને સાઈડમાં રાખીને આ મહિલા PSIના કૃત્યને ઢાંકવા માટે પ્રાથમિકતા કેમ અપાઈ રહી છે?
રૂરલ પોલીસના અધિકારીઓ આ મહિલા PSIને સજા કરશે કે નહીં તેમાં પણ શંકા
હવે આ સમગ્ર મામલામાં જોવું એ રહ્યું કે, મહિલા PSI ધમપછાડા કરીને સમાધાન કરવામાં સફળ રહે છે?, શું અન્ય પોલીસ સ્ટેશનમાં જઈ કોઈ અન્ય પોલીસકર્મી આ રીતે પ્રજ્ઞાચક્ષુ કે અરજદારને આ રીતે બેફામ માર મારે તો શું તેની સામે કોઈ પગલા નહીં લેવાય?, શું પોલીસકર્મીઓ અને જવાબદારો અંદરખાને સમાધાન કરીને ભીનું સંકેલી લેશે અને ન્યાય માટે ઝંખતા લોકોને દબાવી દેવામાં આવશે?. આ ઉપરાંત શું રૂરલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મહિલા PSI સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડશે કે પછી ભીનું સંકેલીને આખો કેસ દબાવશે?



