સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્સ-રે પડ્યો નથી | Pal Health Centre in Surat Yet to Conduct a Single X Ray Despite 400 Days of Installation

![]()
Pal Health Centre in Surat: સુરત મહાનગરપાલિકા (SMC) એક તરફ શહેરીજનોને ઘર આંગણે શ્રેષ્ઠ અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ આપવાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના બજેટના ખર્ચે વસાવાયેલા તબીબી સાધનો ધૂળ ખાઈ રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા પાલિકાના હેલ્થ સેન્ટરમાં લાખો રૂપિયાના ખર્ચે એક્સ-રે મશીન વસાવવામાં આવ્યું છે, પરંતુ આ મશીન આવ્યાને 400થી વધુ દિવસો વીતી ગયા હોવા છતાં હજી સુધી એક પણ દર્દીનો એક્સ-રે પાડવામાં આવ્યો નથી. પાલિકાના આ અંધેર વહીવટ સામે પૂર્વ કોર્પોરેટરે વિરોધ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઘર આંગણે સુવિધા આપવાનો ફિયાસ્કો
સુરતના સ્થાનિક લોકોને પોતાના ઘરની નજીક જ તમામ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ સસ્તા દરે મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા તમામ ઝોનમાં 50 બેડની હોસ્પિટલો અને અદ્યતન હેલ્થ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. આ હોસ્પિટલોમાં લેબોરેટરી અને એક્સ-રે જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે પાલિકા તંત્ર દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો પણ ખરીદવામાં આવ્યા છે. જોકે, પાલ હેલ્થ સેન્ટરમાં તંત્રની ઉદાસીનતાને કારણે મશીન હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ આ સેવાથી વંચિત રહી ગયા છે.
પૂર્વ કોર્પોરેટરે કમિશનરને કરી ગંભીર ફરિયાદ
પાલ વિસ્તારના પૂર્વ કોર્પોરેટરે આ ઘોર બેદરકારી અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ગંભીર ફરિયાદ કરી છે. પાલ હેલ્થ સેન્ટરમાં અદ્યતન એક્સ-રે મશીન ખરીદીને મૂકી દેવાયું છે, પરંતુ 400 દિવસથી વધુનો સમય થવા છતાં તંત્ર દ્વારા તેનો ઉપયોગ શરૂ કરાયો નથી અને એક પણ દર્દીનો એક્સ-રે પડ્યો નથી. લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય કરીને ખરીદાયેલું મશીન ધૂળ ખાતું પડી રહ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તેની તટસ્થ તપાસ થવી જોઈએ. હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને નાછૂટકે બહાર ખાનગી લેબોરેટરીમાં મોંઘા ભાવે એક્સ-રે પડાવવા પડી રહ્યા છે, જેથી આ મશીન વહેલી તકે ચાલુ કરવામાં આવે.
તંત્ર સામે ઉઠ્યા સવાલો
એન્જિનિયરિંગ અને આરોગ્ય ક્ષેત્રના જાણકારોના મતે, સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં મશીનો ખરીદી લીધા બાદ કાં તો તેને ચલાવવા માટે જરૂરી ટેકનિશિયન/ઓપરેટરની ભરતી કરવામાં આવતી નથી અથવા તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)ની જરૂરી મંજૂરીઓ લેવામાં વહીવટી તંત્ર મહિનાઓ લગાડી દે છે. કારણ ગમે તે હોય, પરંતુ પાલ હેલ્થ સેન્ટરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાલિકાના આયોજનના અભાવે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કમિશનર આ ગંભીર ફરિયાદ બાદ જવાબદાર તબીબી અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે.

