આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચકાસણી’-DRM વડોદરા | Anand ROB Collapse: Vadodara DRM Questions Girder Failure Despite Modern Technology

Under Construction Railway Overbridge Collapses In Anand Adas: આણંદના અડાસ ખાતે શનિવારે (30મી મે) નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડવાની ગંભીર ઘટના બાદ રેલવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલાને રેલવે મંત્રાલયે અત્યંત ગંભીરતાથી લીધો છે, જેના પગલે વડોદરાના ડીઆરએમ (DRM) રાજુ ભડકે કડક એક્શન મોડમાં આવ્યા છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
બ્રિજનો ભાગ પડવો જોઈતો નહોતો: DRM રાજુ ભડકે
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતા વડોદરા DRM રાજુ ભડકે જણાવ્યું હતું કે, ‘મારા નિરીક્ષણ મુજબ આ બ્રિજનો ભાગ કોઈ પણ સંજોગોમાં પડવો જોઈતો નહોતો. અંદાજે 50 કરોડ રૂપિયાના કરોડોના ખર્ચે આ આખો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઘટના પાછળ કોની બેદરકારી છે અને ખરેખર શું ખામી સર્જાઈ તેની તપાસ માટે ચીફ ઇન્જિનિયર અને ડેપ્યુટી ઇન્જિનિયર સહિતની સ્પેશિયલ ટેકનિકલ કમિટી મેદાનમાં ઉતારવામાં આવી છે.’
DRM રાજુ ભડકે જણાવ્યું હતું કે, ‘હાલ રેલવેના અન્ય કેટલાય સ્થળોએ પણ બ્રિજ નિર્માણની કામગીરી યથાવત્ ચાલી રહી છે. અડાસની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે તે તમામ ચાલુ પ્રોજેક્ટ્સના સ્થળોએ પણ સુરક્ષા અને ગુણવત્તાની કડક ચકાસણી (ઓડિટ) તાત્કાલિક ધોરણે કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.’

આધુનિક ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’ પર ઉઠ્યા સવાલો
એન્જિનિયરિંગ ક્ષેત્રે આ દુર્ઘટનાએ મોટો સવાલ ખડો કર્યો છે કારણ કે આ બ્રિજનું કામ કોઈ જૂની પુરાણી પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’ થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે ‘પીયર કેપ’ (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું હતું. પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે કકડભૂસ થઈ જવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા તો એન્જિનિયરિંગ ગણતરીમાં થયેલી મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.
તમામ પાસાઓની તટસ્થ તપાસ થશે
રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજની કામગીરીમાં નિર્ધારિત નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં સાઇટ પર શું થયું?’ તે તમામ પાસાઓની તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે. આ ઘટના પાછળના મૂળ કારણો અને ટેકનિકલ ક્ષતિઓની સંપૂર્ણ ચકાસણી કરીને ટૂંક સમયમાં જ વડોદરા ડિવિઝન દ્વારા રેલવે મંત્રાલયને એક વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવશે.



