गुजरात

છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મોત | Storm Turns Fatal in Naswadi: Palm Tree Falls on Man Dies in Amroli Village



Chhota Udepur Tragedy: ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે છોટાઉ દેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે નસવાડી પંથકમાં ફૂંકાયેલા જોરદાર વાવાઝોડા દરમિયાન આમરોલી ગામે એક વિશાળ તાડનું વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. કુદરતી આફતની આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ઘરમાં આશ્રય લેવા જાય તે પહેલાં જ કાળ આંબી ગયો

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના આમરોલી ગામે રહેતા આદિવાસી પરિવારના સભ્યો રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. પવનના સુસવાટા વચ્ચે પરિવારના સભ્યો જીવ બચાવવા માટે બહારથી દોડીને ઘરમાં જાય તે પૂર્વે જ ઘર નજીક આવેલું એક ભારેખમ તાડનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. આ દરમિયાન 45 વર્ષીય અરવિંદભાઈ તડવી ઘરમાં પ્રવેશતા પહેલાં જ તાડનું વૃક્ષ તેના પર પડતાં તે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

આ પણ વાંચો: અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત

પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ

આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. નસવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શવને બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મરણ જનાર અરવિંદભાઈ તડવીના મૃતદેહને પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Related Articles

Back to top button