મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | Two Migrant Workers Drown in Farm Pond While Trying to Save Each Other in Tharad

![]()
Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવાનોના મોત નીપજ્યા છે. મિત્રને બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મિત્રને બચાવવા જતાં બંને ઊંડા પાણીમાં ગરકાવ
મળતી માહિતી અનુસાર, કરણપુરા ગામના જેતસી પટેલના ખેતરમાં ખેત મજૂરી કરતા બે શ્રમિક યુવકો ગુરૂવારે (28મી મે) સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. પોતાના સાથી મિત્રને ડૂબતો જોઈ તેને બચાવવા માટે બીજો યુવક પણ તાત્કાલિક પાણીમાં કૂદ્યો હતો. પરંતુ પાણીનો અંદાજ ન રહેતાં અને ઊંડાણ વધુ હોવાના કારણે બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થરાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી શોધખોળ આદરી હતી. આશરે 40 મિનિટની ભારે જહેમત બાદ 17 વર્ષીય અરવિંદ માજીરાણા અને 18 વર્ષીય પ્રકાશ માજીરાણાનો મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતક યુવાનો રાજસ્થાનના બાડમેરના વતની
બંને મૃતદેહોને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બંને મૃતક યુવકો મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું અને અહીં ખેત મજૂરી અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બે કમાતા દીકરાઓના અકાળે મોતથી ગરીબ શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.



