“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ્ટ્રિયન સમાજની બાદબાકી | Senior corporators and Maharashtrian community excluded in vadodara corporation officials

![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ પદાધિકારી અને સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂક બાદ કેટલાક સિનિયર સભ્યોની અને મહારાષ્ટ્રિયન સમાજની બાદબાકી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે તો બીજી બાજુ “મારો તે સારો સૂત્ર” પ્રમાણે સંગઠન, સંસદ સભ્ય અને ધારાસભ્યોએ પોતાના માનીતા એવા કોર્પોરેટરોને હોદ્દાઓ ફાળવી દેવામાં આવતા “ઘી ના ઠામમાં ઘી” સૂત્ર સાર્થક કર્યું છે.
વડોદરા કોર્પોરેશનમાં આ વખતે શિડ્યુલ કાસ્ટના મેયરની નિમણૂક કરવાનો નિયમ હતો. જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી ત્યારે ત્રણ પુરુષ કાર્યકર્તા જે ઓછું ભણેલા હતા તેવાને ટિકિટ આપવામાં આવી અને સામાન્ય બેઠક પરથી એક શિડ્યુલ કાસ્ટ જ્ઞાતિની મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવી હતી. અગાઉ સૌની માન્યતા હતી કે આ વખતે પુરુષ શિડ્યુલ કાસ્ટની અનામત જગ્યા મેયર પદની છે પરંતુ નિયમમાં માત્ર શિડ્યુલ કાસ્ટ લખેલું છે. જેમાં ત્રણ ઉમેદવાર ઓછું ભણેલા હોવાથી મેયર પદે ગીતાબેન મકવાણાની નિમણૂક થઈ છે. જેઓના નામનું સૂચન રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
એ જ રીતે આદિત્ય પટેલનું નામ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચાલતું હતું. પરંતુ તેમને ડેપ્યુટી મેયરનો હોદ્દો આપવામાં આવ્યો, જેમાં તેમના પિતા આરએસએસના આગેવાન હોવાથી શહેર સંગઠન અને સંસદ સભ્ય હેમાંગ જોશીએ તેઓના નામની ભલામણ કરી હતી.
ભૂતકાળમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડોક્ટર જીગીશાબેન શેઠ હતા ત્યારે કોઈ વિવાદો સર્જાયા ન હતા. ત્યારબાદ જે કોઈ પુરુષ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી ત્યારે અવારનવાર વિવાદો સર્જાતા રહ્યા હતા તેને ધ્યાનમાં રાખી ફરી એક વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે વર્ષાબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સંસદ સભ્ય, રાવપુરાના ધારાસભ્ય અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ભલામણ કરી હોવાની ચર્ચા છે.
ભાજપ પક્ષના નેતા તરીકે બિન અનુભવી એવા શ્વેતાબેન માછીની નિમણૂક માટે મંત્રી મનીષબેન વકીલે ભલામણ કરી હતી. જ્યારે દંડક તરીકે અનુભવી એવા વિજય ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે જેથી ચર્ચાનો વિષય બન્યો છે કે, પક્ષના નેતા તરીકે અનુભવી કોર્પોરેટરને નિમણૂક કરવાની હોય તેના સ્થાને બિન અનુભવીની નિમણૂક કરવામાં આવી અને દંડક તરીકે અનુભવી કોર્પોરેટરની નિમણૂક કરી છે.
સ્થાયી સમિતિના સભ્યોમાં પણ જે રીતે નિમણૂક કરવામાં આવી છે. તેમાં માનીતા સભ્યોની નિમણૂક કરી દેવામાં આવી આવી છે જેમાં મનોજ શાહનું નામ સંગઠન તેમજ મંત્રી મનીષાબેન વકીલ અને સંસદ સભ્ય હેમાંગ જોશી તરફથી નામ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર માછીનું નામ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પરેશ બ્રહ્મભટ્ટનું નામ મહામંત્રી લકુલીશ ત્રિવેદી, ભાણજી પટેલનું નામ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની,
રીટા આચાર્યનું નામ કેયુર રોકડિયા, નરવીર સિંહ ચુડાસમાનું નામ ચૈતન્ય દેસાઈ, નીતિન દોંગાનું નામ દિલીપ સાંઘાણી તથા સંગઠન રીટાસીંગનું નામ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા જ્યારે નિમિશાબેન પંચાલ દીપિકાબેન પટણી અને ભુરસીંગ રાઠવાના નામો પણ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.



